Get The App

અમદાવાદમાં 24 ખાનગી હોસ્પિટલોએ માનવતા નેવે મૂકી, કાર્ડ હોવા છતાં દર્દીઓને ખંખેર્યા

Updated: Mar 13th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં 24 ખાનગી હોસ્પિટલોએ માનવતા નેવે મૂકી, કાર્ડ હોવા છતાં દર્દીઓને ખંખેર્યા 1 - image

Ayushman Card: અમદાવાદમાં ચકચારી 'ખ્યાતિકાંડ' બાદ પણ ખાનગી હોસ્પિટલોની નફાખોરી અટકવાનું નામ નથી લઈ રહી. માનવતા નેવે મૂકીને અમદાવાદ શહેર અને જિલ્લાની 24 જેટલી ખાનગી હોસ્પિટલો દ્વારા આયુષ્યમાન કાર્ડ (PMJAY) ધરાવતા દર્દીઓ પાસેથી પણ ગેરકાયદે રીતે સારવાર પેટે નાણાં વસૂલવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ વિધાનસભા ગૃહમાં કરવામાં આવ્યો છે.

વિધાનસભામાં આરોગ્ય વિભાગની કબૂલાત

ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા પૂછવામાં આવેલા સવાલના લેખિત જવાબમાં આરોગ્ય વિભાગે સ્વીકાર્યું હતું કે, અમદાવાદની 24 ખાનગી હોસ્પિટલો સામે આયુષ્યમાન કાર્ડ હોવા છતાં નાણાં ઉઘરાવવાની ફરિયાદો મળી હતી. તપાસ બાદ આ ફરિયાદો સાચી જણાતા વિભાગ દ્વારા સંબંધિત હોસ્પિટલોને નોટિસ ફટકારવામાં આવી હતી.

10 લાખની મફત સારવાર સામે ઉઘાડી લૂંટ

નિયમ મુજબ, જે ખાનગી હોસ્પિટલો આયુષ્યમાન યોજના હેઠળ નોંધાયેલી છે, તેમણે દર્દીઓને 10 લાખ રૂપિયા સુધીની સારવાર વિનામૂલ્યે આપવાની હોય છે. આ સારવારનો ખર્ચ સરકાર સીધો હોસ્પિટલોને ચૂકવે છે. આમ છતાં, કમાણીના મોહમાં આ હોસ્પિટલોએ દર્દીઓ પાસેથી વધારાના નાણાં વસૂલીને સરકારી નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કર્યું છે.

માત્ર દંડ વસૂલીને સંતોષ માનતું તંત્ર

આરોગ્ય વિભાગે આ કસૂરવાર હોસ્પિટલો પાસેથી કુલ 39.84 લાખ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. જોકે, આટલા ગંભીર ગુના સામે માત્ર સામાન્ય દંડ વસૂલીને સંતોષ માનતા તંત્ર સામે પ્રકૃતિ પ્રેમીઓ અને જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે આવા કિસ્સાઓમાં માત્ર દંડ નહીં પણ હોસ્પિટલોના લાયસન્સ રદ કરવા જેવી કડક કાર્યવાહી થવી જોઈએ જેથી અન્ય હોસ્પિટલો માટે દાખલો બેસે.