NCRB Gujarat Crime Report : નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) તરફથી જારી કરવામાં આવેલી પ્રિઝન સ્ટેટેસ્ટિક્સ ઈન્ડિયા 2023 રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં કુલ 5,154 દોષિત કેદીઓ પૈકી 2,739 કેદીઓએ ધોરણ-10 સુધીનો પણ અભ્યાસ કર્યો નથી. એટલે કે લગભગ 53 ટકા પાકા કામના કેદીઓએ ધોરણ-10 સુધી પણ શિક્ષણ મેળવ્યું નથી. આજ રીતે 1,184 દોષિત કેદી નિરક્ષર હતા.
રાજ્યમાં કાચા કામના 49 ટકા કેદીઓ ધો.10થી ઓછું ભણેલા
આ સ્થિતિ કાચા કામના કેદીઓમાં પણ જોવા મળી છે. NCRBના રિપોર્ટ પ્રમાણે વર્ષ 2023માં રાજ્યમાં 49 ટકા કાચા કામના કેદીઓએ ધોરણ-10થી ઓછું અભ્યાસ કર્યું છે. પ્રદેશમાં કાચા કામના 11,549 કેદીઓ પૈકી 5,682 કેદીઓએ SSC સુધી પણ શિક્ષણ મેળવ્યું નથી. જ્યારે 1,966 અંડર ટ્રાયલ કેદી નિરક્ષર હતા. આ ઉપરાંત 2,774 કાચા કામના કેદીઓએ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ પણ પૂરો કર્યો નથી. વર્ષ 2023માં પ્રદેશની અલગ અલગ 32 જેલમાં કુલ 11,549 કાચા કામના કેદી હતા, જેમાં 11,183 પુરુષ, 364 મહિલા અને 2 ટ્રાન્ઝજેંડર કેદી સામેલ છે.
30 ટકા પાકા કામના કેદીની ઉંમર 30 વર્ષથી પણ ઓછી
વર્ષ 2023માં રાજ્યમાં કુલ 5,154 દોષિત કેદી એટલે કે પાકા કામના કેદી પૈકી 1,631 કેદીઓની ઉંમર 18થી 30 વર્ષ સુધીની હતી. આ આંકડો વર્ષ દરમિયાન પાકા કામના કુલ કેદીઓના લગભગ 31.6 ટકા જેટલું થાય છે. આ ઉપરાંત 50 ટકા પાકા કામના કેદીઓની ઉંમર 30થી 50 વર્ષની વચ્ચેની હતી, જ્યારે 18 ટકા કેદીઓની ઉંમર 50 વર્ષથી વધુની હોવાનું સામે આવ્યું છે.
કાચા કામના 45 ટકા કેદીઓની ઉંમર 30 વર્ષથી ઓછી
વર્ષ 2023માં રાજ્યમાં કુલ 11,549 કાચા કામના કેદીઓ પૈકી 5,248 કેદીઓની ઉંમર 18થી 30 વર્ષ સુધીની હતી. આ સંખ્યા અંડર ટ્રાયલ કેદીઓની લગભગ 45 ટકા જેટલી થાય છે. 46.1 ટકા કાચા કામના કેદીઓની ઉંમર 30થી 50 વર્ષ વચ્ચે હતી, જ્યારે માત્ર 8.2 ટકા અંડર ટ્રાયલ કેદીઓની ઉંમર 50 વર્ષ કે તેથી વધુની હતી.
64 ટકા દોષિત કેદીઓ આજીવન કેદની સજા ભોગવી
ગુજરાતમાં વર્ષ 2023 દરમિયાન સૌથી વધુ 3,254 દોષિત કેદી આજીવન કેદીની સજા ભોગવતા હતા. જ્યારે 31મી ડિસેમ્બર 2023 સુધીમાં 58 કેદીઓ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે 713 પાકા કામના કેદીઓ એવા હતા કે જે 10થી 13 વર્ષ સુધીની જેલની સજાનો સામનો કરી રહ્યાં હતા.
વર્ષ 2023માં પ્રદેશમાં જેલ ઓક્યુપન્સી રેટ 122.8 ટકા જેટલી હતી. રાજ્યમાં કુલ 17,265 કેદીઓની સામે અલગ અલગ જેલમાં કેદીઓને રાખવાની ક્ષમતા 14,065 જેટલી હતી.


