જામનગરમાં કરુણ ઘટના, રીપેરીંગ દરમિયાન લિફ્ટ પડી જતાં 21 વર્ષીય યુવકનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News: જામનગર શહેરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલા ઈન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સમાં ગત મોડી રાત્રે લિફ્ટ રીપેરીંગ દરમિયાન એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 21 વર્ષીય યુવાન નવાઝ સોરઠિયાનું કરૂણ મૃત્યુ નિપજ્યું છે. આ યુવાન પરિવારનો એકમાત્ર કમાતો સભ્ય હતો. તેના આકસ્મિક અને કરૂણ મોતથી સોરઠીયા પરિવારમાં ગમગીની અને શોકનો માહોલ છવાયો છે.
લિફ્ટ નીચે પછડાતાં યુવકને ગંભીર ઈજા
મળતી માહિતી મુજબ, નવાઝ સોરઠીયા અન્ય ટેક્નિશિયન સાથે ઈન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સમાં લિફ્ટના રીપેરીંગની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક લિફ્ટનો બોલ્ટ ખુલી ગયો હતો અને લિફ્ટ ધડાકાભેર નીચે પછડાઈ હતી. નવાઝ સોરઠિયા પણ લિફ્ટની સાથે નીચે પટકાયા હતા, જેના કારણે તેમને માથા અને છાતીના ભાગે ગંભીર ઈજા થઈ હતી.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત નવાઝને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
પોલીસ કાર્યવાહી અને તપાસ
આ બનાવની જાણ થતાં જ સિટી બી ડિવિઝન પોલીસનો સ્ટાફ હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે લિફ્ટની જાળવણી અને રીપેરીંગ કરતી કંપની સામે પણ બેદરકારી બદલ કાર્યવાહીની તૈયારી શરૂ કરી છે, જેથી જવાબદારી નક્કી કરી શકાય.









