નવેમ્બરથી શાળાઓમાં બીજા સત્રનો પ્રારંભ થશે ૬
તારીખ ૧૬ ઓક્ટોબરથી ૫ નવેમ્બર સુધી શાળાઓમાં રજા રહેશે
સુરેન્દ્રનગર - દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સુરેન્દ્રનગર જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમયની રાહ જોયા બાદ આખરે વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે આ ખુશીના સમાચાર આવ્યા છે.
જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તારીખ ૧૬ ઓક્ટોબરથી ૫ નવેમ્બર, ૨૦૨૫ સુધી કુલ ૨૧ દિવસનું વેકેશન રહેશે. શિક્ષણ વિભાગ દ્વારા આ અંગેનો પરિપત્ર તમામ શાળાઓને મોકલી આપવામાં આવ્યો છે. આ વેકેશન જાહેર થતાં જ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ૨૧ દિવસના આ લાંબા વિરામથી વિદ્યાર્થીઓને દિવાળીના તહેવારોની ઉજવણી કરવા અને પરિવાર સાથે સમય વિતાવવાનો પૂરતો અવકાશ મળશે. નોંધનીય છે કે, વેકેશન પૂર્ણ થયા બાદ ૬ નવેમ્બર, ૨૦૨૫ના રોજથી શાળાઓ રાબેતા મુજબ પુનઃ શરૃ થશે અને દ્વિતીય સત્રનો પ્રારંભ થશે. શિક્ષણ વિભાગે તમામ શાળાઓને વેકેશન દરમિયાન શૈક્ષણિક કાર્યક્રમનું યોગ્ય આયોજન કરવા અને વેકેશન બાદ અભ્યાસક્રમ સમયસર પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. વેકેશનની જાહેરાતથી લાંબા સમયથી રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે, જેઓ હવે આનંદ અને ઉત્સાહ સાથે તહેવારોની ઉજવણી કરી શકશે.


