વડોદરા ગણેશજીની મૂર્તિઓના વિસર્જન બાદ 12 કૃત્રિમ તળાવમાંથી 200 મેટ્રિક ટન કચરો એકત્રિત કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Ganesh Visarjan : વડોદરામાં ગણેશ મૂર્તિઓના વિસર્જન માટે કોર્પોરેશન દ્વારા 12 કૃત્રિમ તળાવો બનાવવામાં આવેલા હતા, ત્યાંથી વિસર્જન વિધિ પૂરી થઈ ગયા બાદ 200 મેટ્રિક ટન કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો. આ વર્ષે લગભગ 41 હજાર નાની મોટી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જે કચરો ભેગો કરવામાં આવ્યો હતો તેમાંથી ફુલ હાર આસોપાલવના પાન વગેરે કચરાને અલગ કરીને સેન્દ્રીય ખાતર બનાવવા માટે સખી મંડળની બહેનોને આપવામાં આવ્યો હતો.
એનયુએલએમ યોજના હેઠળ સખી મંડળની બહેનો ખાતરના વેચાણ દ્વારા આર્થિક સહાય મેળવી શકશે. 1.2 ટન પણ કચરામાંથી 120 કિલો ખાતર તૈયાર થાય છે. આ ખાતર બનતા 15 દિવસનો સમય લાગે છે. 200 ટન કચરામાંથી ઘણો જથ્થો પ્રવાહી પણ હતો, જેમાં ફૂલો વગેરે કોહવાયેલા હતા, અને આવો કચરો છૂટો શકાય તેમ ન હતો. આવો પ્રવાહી કચરો બાયોગેસ બનાવવા માટે પણ મોકલી આપવામાં આવ્યો હતો. જ્યારે પ્લાસ્ટિકની બોટલો સહિતનો પ્લાસ્ટિકનો કચરો અલગ તારવીને કોર્પોરેશનના પ્લાન્ટમાં રવાના કરી દેવાયો હતો. રથયાત્રા વખતે પણ આ રીતે ફુલ-પાનનો 1.2 ટન કચરો એકત્રિત કરીને ખાતર બનાવવા માટે મોકલી આપ્યો હતો. વિસર્જન સ્થળે 51 વેસ્ટ કલેક્શન વાહનો રાખ્યા હતા અને 23 નિર્માલ્ય કળશની પણ સુવિધા ઉભી કરી હતી.








