સુરતના સરથાણામાં વધુ એક બિલ્ડિંગના બેઝમેન્ટ ખોદાણ કામગીરી સામે 200 થી વધુ સ્થાનિક પરિવારનો વિરોધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat : સુરત પાલિકાના સરથાણા ઝોનમાં ભીમરાડ રોડ પર વિવાન બિલ્ડીંગના પ્રોજેક્ટના ત્રણ બેઝમેન્ટ ખોદાણ કામગીરી દરમિયાન બાજુની બિલ્ડીંગ માટે જોખમ ઊભું થયું તેની કળ વળે તે પહેલાં જ સરથાણા વિસ્તારમાં જ અન્ય એક પ્રોજેક્ટમાં બેઝમેન્ટ ખોદાણ કામગીરી જોખમી રીતે થતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. બેઝમેન્ટની કામગીરી થઈ રહી છે તેની આસપાસ ત્રણ મોટી હાઈ રાઈઝ બિલ્ડીંગ છે તેના 200થી વધુ પરિવારોએ હોબાળો મચાવી કામગીરી સામે વિરોધ કર્યો હતો. પાલિકાને રજુઆત કરીને આ કામગીરી અટકાવવા માટેની માંગણી કરી હતી.
સુરતના સરથાણામાં ભીમરાડ રોડ પર રાજલક્ષ્મી બિલ્ડર્સના બ્રાઈટ સ્ટોન પ્રોજેક્ટ એવા વિવાન પ્રોજેક્ટમાં ત્રણ બેઝમેન્ટ ખોદાણ કામગીરી થતી હતી તે દરમિયાન પાણી ધસી આવતા ડી વોલ તૂટી પડી હતી. 17 ડિસેમ્બરે રાત્રીના 40 ફુટ ઉંડાઈ ધરાવતી અને 150 ફુટ લંબાઈમાં ડી વોલ તુટી પડ્યા બાદ બાજુમાં આવેલી શિવ રેસીડન્સીના ચાર બિલ્ડીંગ સામે ખતરો ઉભો થયો હતો. પાલિકાએ રાતોરાત શિવ રેસીડન્સી ખાલી કરાવી હતી. આ દુર્ઘટના બાદ પાલિકાએ રજા ચીઠ્ઠી રદ્દ કરવા સાથે કર્મચારીઓને શો કોઝ જેવી શિક્ષાત્મક કામગીરી કરી હતી.
આ ઘટના હજી લોકના માનસપટથી દુર થાય તે પહેલાં સરથાણા વિસ્તારમાં જ વધુ એક પ્રોજેક્ટના બેઝમેન્ટ ખોદાણ સામે વિવાદ બહાર આવ્યો છે. અલથાણ વિસ્તારમાં હાલ કેલીકુંજ વેદિકા નામના પ્રોજેક્ટ માટે કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન પ્રોજેક્ટની બાજુમાં આવેલા યોગી હાઇટ્સ તથા અન્ય વસવાટ કરનારા 200 થી વધુ પરિવારોએ હોબાળો મચાવ્યો છે.
સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે આડેધડ ખોદાણ થઈ રહ્યું છે તેના કારણે શિવ રેસીડેન્સી જેમ અમારા બિલ્ડીંગ પણ જોખમી બની શકે તેમ છે. વધુ આક્ષેપ કરતા કહ્યું છે કે, બેઝમેન્ટ ખોદામની કામગીરી થઈ રહી છે તે કેલીકુંજ વેદિકાની આસપાસ ત્રણ મોટી હાઈ રાઈઝ બિલ્ડીંગ આવેલી છે અને તેમાં 200થી વધુ પરિવારજનો વસવાટ કરી રહ્યા છે. જેમને જોખમ હોવાથી કામગીરી તાકીદે બંધ કરાવવા માંગણી કરી છે.
આજે યોગી હાઈટ્સમાં વસવાટ કરતા 200થી વધુ પરિવારજનો આજે રસ્તા પર ઉતર્યા હતા અને બાજુમાં નિર્માણાધીન કેલીકુંજ વેદિકા હાઈટ્સ પ્રોજેક્ટ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. આક્ષેપ કરતા કહ્યું હતુ કે પાલિકાની કોઈ પણ જાતની મંજૂરી વિના જ કામગીરી શરુ કરી દેવામાં આવી છે. પાલિકાએ નોટિસ આપી હોવા છતાં કામગીરી ચાલી રહી છે તેથી પાલિકા જો પગલાં ન ભરે તો શિવ રેસીડેન્સી જેવી અમારી હાલત થાય તો જવાબદાર કોણ તેવા પ્રશ્ન સાથે કામગીરી તાકીદે બંધ કરાવવાની માંગણી કરી છે.








