સુરેન્દ્રનગરના દસ ગામમાં 200થી વધુ ઘુડખરોના ટોળાએ ખેતરમાં ઉભા રવી પાકનો સોથ વાળ્યો

તંત્રની ઉદાસીનતા સામે ખેડૂતો રોષે ભરાયા
દસ દિવસમાં ઘુડખરોને અભ્યારણ્યમાં સ્થાઇ કરાવા ખેડૂતોનું તંત્રને અલ્ટીમેટમ ઃ કામગીરી નહીં કરાય તો લખતરમાં ઉગ્ર આંદોલનની ચીમકી
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગરના જિલ્લાના દસ ગામમાં ૨૦૦થી વધુ ઘુડખરોના ટોળાએ ખેતરમાં ઉભા રવી પાકનો સોથ વાળતા ખેડૂતોને આર્થિક ફટકો પડયો છે. તંત્રની ઉદાસીનતા સામે ખેડૂતો રોષે ભરાયા છે. દસ દિવસમાં ઘુડખરોને અભ્યારણ્યમાં સ્થાઇ કરાવા ખેડૂતોએ તંત્રને અલ્ટીમેટમ આપ્યું છે. એટલું જ નહીં દસ દિવસમાં કામગીરી નહીં કરાય તો લખતરમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ઘુડખર અભ્યારણ છોડીને ૨૦૦થી વધુ ઘુડખરના ટોળા ઘણાંદ, રાજ સીતાપુર, વણા, ડુમાણા સહિત આશરે ૧૦ જેટલા ગામના ખેતરોમાં ફરી રહ્યાં છે. આ ઘુડખરો ખેતરોમાં ઉભેલા પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી રહ્યા છે. ખાસ કરીને રાત્રિ દરમિયાન ઘુડખરો ખેતરોમાં પ્રવેશી પાકને નુકસાન કરે છે.
માઠવાના મારથી બેઠા થયેલા ખેડૂતોએ રવી પાકનું વાવેતર કર્યું પણ ઘુડખરોએ સોથ વાળી દેતા મોંઘા બિયારણો, દવાઓ અને મજૂરી ખર્ચ માથે પડયો છે અને આથક સ્થિતિ કફોળી બની છે. ખેડૂતો દિવસે ખેતરોમાં કામ કરે છે અને રાત્રે પાકની રખેવાળી માટે ઉજાગરા કરવા મજબૂર બન્યા છે.
ખેડૂતો દ્વારા છેલ્લા ચાર વર્ષથી આ ઘુડખરોને ફરી અભ્યારણ વિસ્તારમાં સ્થાયી કરવા માટે વહીવટી તંત્ર, ફોરેસ્ટ વિભાગ, વન પર્યાવરણ મંત્રીઓ અને સ્થાનિક ઘુડખર વિભાગના અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. જિલ્લાના લખતર અને દસાડા તાલુકાના સેંકડો ખેડૂતોએ આજે ઘુડખરના ત્રાસના મુદ્દે દુધરેજથી કલેકટર કચેરી સુધી આક્રોશ રેલી યોજી હતી. તેમ છતાં તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી.
તંત્રની ઉદાસીનતાથી રોષે ભરાયેલા ખેડૂતોએ હવે વહીવટી તંત્રને ૧૦ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ૧૦ દિવસની અંદર ઘુડખરને ખસેડવાની કામગીરી કરવામાં નહીં આવે તો તેઓ લખતર ખાતે ઉગ્ર આંદોલન કરશે. ખેડૂતો દેવાદાર બની રહ્યા છે ત્યારે પાકને થતું નુકસાન તેમના માટે સહન કરવું મુશ્કેલ છે, જેથી તંત્ર આ મામલે તાત્કાલિક નિર્ણય લે તેવી માંગ કરવામાં આવી છે.

