Gujarat

200 પરિવારો ગટર અને રસ્તા સહિતની સુવિધાઓથી વંચિત

By GS TEAM
26 Nov 20251 min read
200 પરિવારો ગટર અને રસ્તા સહિતની સુવિધાઓથી વંચિત

દૂધરેજના રબારીવાસમાં

રબારીવાસમાં મનપા ઓરમાયું વર્તન કરતી હોવાનો આક્ષેપ, પ્રાથમિક સુવિધા આપવા માંગ

સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર મહાનગરપાલિકાની હદમાં આવેલા દૂધરેજ વિસ્તારના રબારીવાસમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. અહીં વસવાટ કરતા અંદાજે ૨૦૦થી વધુ પરિવારો વર્ષોથી ભુગર્ભ ગટર અને આરસીસી રોડ જેવી પાયાની સુવિધાઓથી વંચિત છે.

ગટરના અભાવે ગંદા પાણીનો નિકાલ ન થતા ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે, જેના કારણે ચોમાસામાં અને સામાન્ય દિવસોમાં પણ રોગચાળો ફેલાવાની દહેશત રહેલી છે. સ્થાનિક રહીશોએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, બાજુના વિસ્તારોમાં તમામ સુવિધાઓ અપાઈ છે, પરંતુ મનપા તંત્ર દ્વારા તેમની સાથે ભેદભાવ રાખી ઓરમાયું વર્તન કરવામાં આવે છે. આ અંગે તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. જો આગામી દિવસોમાં ગટર અને રોડની સુવિધા પૂરી પાડવામાં નહીં આવે, તો સ્થાનિકોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.