ધ્રાંગધ્રા-માલવણ હાઈવે અકસ્માત
કારમાં સવાર બે પોલીસ કર્મચારીને ઈજાઓ પહોંચી ઃ કાર ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત
ધ્રાંગધ્રા - ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર કાર ચાલકે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ધ્રાંગધ્રાના બે યુવકના મોત નિપજ્યાં છે. જ્યારે ધ્રાંગધ્રા સીટી પોલીસમાં ફરજ બજાવતા બે કર્મીને ઇજાઓ પહોંચતા હાલ સારવાર હેઠળ છે.
ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર હરીપર ગામ પાસે માલવણ તરફથી આવતી કારના ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ પર પલટી મારી જતાં કારમાં સવાર ચાર યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવને પગલે રસ્તા પરથી પસાર થતાં વાહન ચાલકો તથા સ્થાનિક લોકોના એકત્ર થઈ ગયા હતા. અકસ્માત અંગે ૧૦૮ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસ અને એમ્બ્યુલન્સ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત (૧) ક્રિપાલસિંહ વનરાજસિંહ ઝાલા (ઉં.૪૮) અને બોનિલભાઈ નરેન્દ્રસિંહ દેસાઈ (ઉં.૨૮), બન્ને રહે.ધ્રાંગધ્રાને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. જ્યારે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકમાં ફરજ બજાવતા બળવંતસિંહ જીલુભા સોલંકી અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ જગદીશસિંહ ઝાલાને ઇજાઓ પહોંચી હોવાથી હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે. અકસ્માતમાં બે યુવકના મોતથી પરિવારજનોમાં સહિત સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે.


