- ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા
- બંને અકસ્માત મામલે વડતાલ, નડિયાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી
નડિયાદ : ગુતાલ નેશનલ હાઈવે નંબર ૪૮ના બ્રીજના છેડેથી રોડ ક્રોસ કરતા યુવકનું કારે ટક્કર મારતા ગંભીર ઈજા થતા મોત નિપજ્યું હતું. જ્યારે મલિદા મરીડા સ્મશાન નજીક ટ્રેક્ટરે મોટરસાયકલને ટક્કર મારતા બાઈક ચાલકનું ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું હતું. આ બંને બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
નડિયાદ તાલુકાના પીપલગ શાકમાર્કેટ નજીક બુલેટ ટ્રેનની કોલોની આવેલી છે. આ બુલેટ ટ્રેનમાં કામ કરતા ઝારખંડના અજય બદરી કમર રવિદાસ અને રૂદન મહાવીર ભુઈયા ગઈકાલે બંને ઉતરસંડા કપડા સીવડાવવા ગયા હતા. તેઓ ઉત્તરસંડાથી પરત કોલોનીમાં જવા ગુતાલ નેશનલ હાઈવેના બ્રિજના છેડેથી સામેની સાઈડ ચાલતા જતા હતા. ત્યારે પુરઝડપે આવેલી કારે ટક્કર મારતા રૂદન ભૂઈયાને માથામાં અને શરીરના ભાગે ગંભીર ઈજા થઈ હતી. જેથી ઈજાગ્રસ્તને ૧૦૮ મારફત નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબે રૂદન ભૂઈયાને મૃત જાહેર કર્યોે હતો. આ બનાવ અંગે અજય બદરી કમલ રામની ફરિયાદ આધારે વડતાલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે અકસ્માતના બીજા બનાવમાં નડિયાદ તાલુકાના હાથજ ગામમાં રહેતા સિદ્ધરાજસિંહ ચંદ્રસિંહ છાસટીયા અને તેનો મિત્ર ધુ્રવરાજસિંહ સુરેશભાઈ છાસટીયા નડિયાદ મહાનગરપાલિકામાં નોકરી કરે છે. તેઓ બંને રવિવારની સાંજે બાઈક પર હાથજથી નડિયાદ નોકરી પર જતા હતા. ત્યારે મરીડા શક્કરિયા મહાદેવના મંદિર સ્મશાન નજીક સામેથી આવતું ટ્રેક્ટર મોટરસાયકલ સાથે અથડાતા બાઈક ચાલક ધુ્રવરાજસિંહ સુરેશભાઈ છાસટીયા (ઉં. વ.૧૭)ને માથામાં તેમજ બાઈક પાછળ બેઠેલ સિધ્ધરાજસિંહને ઈજા થતા બંનેને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબે ધુ્રવરાજસિંહ છાસટીયાને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે સિદ્ધરાજસિંહ ચંદ્રસિંહ છાસટીયાની ફરિયાદ આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


