- નડિયાદમાં અકસ્માતનો સિલસિલો યથાવત્
- એક મહિલાનું ઘટનાસ્થળે અને એકનું સારવારમાં મોત, પોલીસે બંને અકસ્માત મામલે ગુનો નોંધ્યો
નડિયાદ : માતર તાલુકાના અલીન્દ્રા-ખાંધલી રોડ ઉપર કૂતરું આડું આવતા મોપેડ પાછળ બેઠેલી મહિલાનું ગંભીર ઇજા થતા મોત નિપજ્યું હતું. જ્યારે નેશનલ હાઇવે નંબર-૪૮ જેસવાપુરા નજીક માલ બનાવવાની ફ્લોરી પાછળ આઇસર અથડાતા શ્રમજીવી મહિલાનું મોત નિપજ્યું હતું. આ બંને બનાવ અંગે જે તે પોલીસ મથકમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે.
માતર તાલુકાના નાદોલી ગામમાં રહેતા ક્રિષ્ના પ્રવીણભાઈ અને તેની માતા સુધાબેન તા.૧૮મીની સાંજે મોપેડ પર નોકરી પરથી ખેડા તરફથી ઘરે જતા હતા. આ દરમિયાન અલીન્દ્રા ચોકડીથી ખાંધલી તરફ જતા હતા ત્યારે રોડ પર અચાનક કૂતરું આડું આવતા મોપેડ સ્લીપ થતા માતા-પુત્ર રોડ ઉપર પડી જતા ઈજા થઈ હતી. જેથી આજુબાજુના લોકોએ દોડી આવી ૧૦૮માં ઇજાગ્રસ્તોને સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાંથી સુધાબેનને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સુધાબેનનું તા.૨૨મીની સવારે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે રમેશભાઈ સરસુરામ વાઘેલાની ફરિયાદ આધારે માતર પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે બીજા બનાવમાં ખેડા તાલુકાના ગાંધીપુરા વાવડીમાં રહેતા સોબાન રણજીતભાઈ કલારા તેમજ તેમના સંબંધીઓ આરસીસીનો માલ બનાવવાની ફ્લોરીમાં બેસી કનેરા માધવ ઇન્ડસ્ટ્રીમાં મજૂરી કામ કરવા જતા હતા. આ દરમિયાન નેશનલ હાઇવે નંબર ૪૮ જેસવાપુરા નજીક નડિયાદ તરફથી આવેલી આઇશર ફ્લોરી પાછળ અથડાતા ફ્લોરી ચલાવતા મોજુભાઈને ઇજા થઈ હતી. જ્યારે તેમની પત્ની સુકાબેન પર આઇસર ફરી મળતા માથામાં ગંભીર ઈજા થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે સોબાન રણજીત કલારાની ફરિયાદ આધારે ખેડા ટાઉન પોલીસે આઇસર ચાલક સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


