જામનગર શહેર અને મેઘપર-પડાણા ગામમાંથી મોબાઇલ ફોનની ચોરી કરનાર બે તસ્કરો એલસીબીના હાથે પકડાયા
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ હાથ ધરી જામનગર શહેર અને મેઘપર પડાણામાંથી મોબાઇલ ફોનની ચોરી કરનાર બે તસ્કરોને પકડી પાડ્યા છે, અને તેઓ પાસેથી ચોરાઉ મોબાઈલ ફોન કબજે કરી લીધા છે.
જામનગર શહેરમાં સંતોષી માતાજીના મંદિર પાસેથી સુનિલ વશરામભાઈ બારોટ નામના 35 વર્ષના ગઢવી શખ્સને એલસીબી ની ટુકડીએ ઝડપી લીધો હતો, અને તેની પાસેથી રૂપિયા 9,800ની કિંમતનો મોબાઇલ ફોન કબજે કર્યો હતો. જેણે મોબાઈલ ફોન ચોરી કરીને મેળવેલા હોવાનું કબૂલી લીધું હતું. એલસીબી ની ટીમ દ્વારા તેની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.
આ ઉપરાંત લાલપુર તાલુકાના મેઘપર પડાણા ગામમાંથી પણ એક મોબાઈલ ફોનની ચોરી થઈ ગઈ હતી, જે મોબાઈલ ફોનની ચોરી કરનાર અખિલેશ હીરાલાલ યાદવ નામના પરપ્રાંતિય શખ્સને પોલીસે ઝડપી લીધો હતો, અને તેની પાસેથી રૂપિયા 15,500ની કિંમતનો ચોરાઉ મોબાઇલ ફોન કબ્જે કરી લીધો છે, અને તેની પણ વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.