Gujarat

નવરાત્રિમાં ગરબા મહોત્સવોમાં બે લાખ યુનિટ જેટલી વીજળી વપરાશે

By GS TEAM
21 Sep 20251 min read
નવરાત્રિમાં ગરબા મહોત્સવોમાં બે લાખ યુનિટ જેટલી વીજળી વપરાશે

વડોદરાઃ માહોલ વચ્ચે નવરાત્રિ પર્વનો તા.૨૨ સપ્ટેમ્બરથી પ્રારંભ થશે.જો વરસાદનું વિઘ્ન નહીં નડે તો નવરાત્રીના દસ દિવસ દરમિયાન વડોદરાના ગરબા મહોત્સવોમાં લગભગ બે લાખ  યુનિટ વીજળીનો વપરાશ થશે.

મધ્ય ગુજરાત વીજ કંપનીના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો પ્રમાણે આ વર્ષે વડોદરા શહેરના ૫૧ વિસ્તારોમાં ગરબા માટે કુલ ૨૨૦૦ કેવી ક્ષમતાના કામચલાઉ વીજ જોડાણો આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરામાં ૭૦૦ ઉપરાંત સ્થળોએ સમૂહ ગરબા યોજાવાના છે. જો ગરબા મહોત્સવોમાં સાંજના સાત વાગ્યાથી રાત્રે બાર વાગ્યા સુધી ગરબામાં ડેકોરેશન, સાઉન્ડ સિસ્ટમ, પાર્કિંગમાં લાઈટો ચાલુ રાખવામાં આવે તો દસ દિવસમાં બે લાખ યુનિટ જેટલી વીજળી વપરાશે..કારણકે ઘણા ગરબા મહોત્સવોમાં એક વાગ્યા સુધી પણ ગરબા ચાલતા હોય છે.સૂત્રોનું કહેવું છે કે, હવે વીજ જોડાણની સાથે સાથે જનરેટરનો ઉપયોગ પણ વ્યાપક બન્યો છે.કેટલાક ગરબા આયોજકો પાર્કિંગ એરિયામાં લાઈટો માટે કે પછી ગરબામાં પણ વીજ સપ્લાય માટે જનરેટર પર આધાર રાખતા થયા છે.જેના કારણે વીજ કંપની પરની નિર્ભરતા ઓછી થઈ રહી છે.