હડાળા પાસે ટેમ્પોએ પદયાત્રીઓને અડફેટે લીધા
સાયલાની જસાપર ચોકડી અને વણકી ગામ પાસે કારની ટક્કરે બે રાહદારીઓએ જીવ ગુમાવ્યા
સાયલા
- સાયલા-ચોટીલા હાઈવે પર અકસ્માતની વણઝાર સર્જાઈ હતી, જેમાં ત્રણ જુદી-જુદી દુર્ઘટનાઓમાં બે વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા
છે, જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
પ્રથમ બનાવમાં, સાયલા જસાપર ચોકડી પાસે મધ્ય પ્રદેશથી મજૂરીકામ માટે આવેલ
મોવેલસિંગ લુંજાભાઈ વસુનિયા (૪૮)ને કારે ટક્કર મારતા તેમનું ઘટનાસ્થળે જ મોત
નીપજ્યું હતું. તેમનું પીએમ સાયલા સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું.
બીજો અકસ્માત સાયલાના વણકી ગામના બોર્ડ પાસે સર્જાયો હતો, જ્યાં
અજાણ્યા વાહને અડફેટે લેતા ૩૫ વર્ષીય અરવિંદજી કુંવરજી ઠાકોરનું મોત નીપજ્યું હતું,
જ્યારે તેમની સાથે રહેલા રમેશ ઠાકોર (૪૦) અને મીનાબેન અરવિંદભાઈ
ઠાકોર (૩૩)ને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્રીજા બનાવમાં, હડાળા
ગામ નજીક ચોટીલા પગપાળા જઈ રહેલા ચોરવીરા ગામના દંપતી વિરમદેવસિંહ મારૃણીયા અને
કોમલબેન વિરમભાઇ મારૃણીયાને ટેમ્પો ચાલકે અડફેટે લેતા બંને ઘાયલ થયા હતા. તમામ
ઇજાગ્રસ્તોને તાત્કાલિક ચોટીલા સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સાયલા પોલીસે હોસ્પિટલ દ્વારા
મોકલવામાં આવેલ એમ.એલ.સી. રિપોર્ટના આધારે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી
હાથ ધરી છે.


