જૂનાગઢના મુખ્ય રસ્તા પરના ડાયવર્ઝનમાં સ્કૂલ બસ સહિત 2 બસ ફસાઈ
ત્રણ-ચાર દિવસથી કામ બંધ, મનપાની ઘોરબેદરકારી મજેવડી દરવાજાથી સક્કરબાગ તરફના બંને રસ્તા પર પેચવર્કનું કામ ચાલું, ભારતમીલની શેરીમાં કાઢેલા ડાયવર્ઝનમાં ભુગર્ભ ગટર તુટી ગઈ
જૂનાગઢ, : જૂનાગઢ શહેરમાં રાજકોટ તરફથી આવતા મુખ્ય રસ્તા પર ભુગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે. જૂનાગઢથી રાજકોટ તરફ જવા માટેના રસ્તા પર પાણીની લાઈન માટે ખોદેલા રસ્તાનું પેચવર્ક ચાલી રહ્યું છે. બંને તરફના રસ્તા તોડી નાખવામાં આવ્યા હોવાથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે. છેલ્લા બે-ત્રણ માસથી આડેધડ ચાલતી કામગીરીમાં આજે ભારતમીલની શેરીમાં કાઢેલા ડાયવર્ઝનમાં એક સ્કૂલ બસ અને એક અન્ય બસ ભુગર્ભ ગટરમાં ફસાઈ ગઈ હતી જેમાં સદનસીબે મોટી જાનહાની ટળી છે.
શહેરના ગાંધીચોકથી સક્કરબાગ તરફ જતા રસ્તાને પાણીની લાઈન અને ભુગર્ભ ગટર માટે ખોદી નાખવામાં આવ્યા છે. મજેવડી દરવાજાથી રેલ્વે સ્ટેશન તરફના રસ્તાને ખોદયો હતો ત્યાં સિમેન્ટનું પેચવર્ક કરવામાં આવ્યું છે. જ્યારે મજેવડી દરવાજા તરફથી સક્કરબાગ તરફ જતા બંને સાઈડના રસ્તાને ખોદી નાખવામાં આવ્યો છે. એક તરફ પાણીની લાઈન અને બીજી તરફ ભુગર્ભ ગટરની લાઈન નાખવામાં આવી છે. મજેવડી દરવાજા તરફથી સક્કરબાગ તરફ જતા રસ્તા પર પેચવર્કનું કામ ચાલતું હોવાથી રસ્તો સાંકડો થઈ ગયો હોવાથી ટ્રાફિક જામ થઈ જાય છે. સક્કરબાગથી મજેવડી ગેઈટ તરફ આવતા રસ્તા પર ભારત મીલના ઢોળા વાળી શેરીમાં ડાયવર્ઝન કાઢવામાં આવ્યું છે. ભારતમીલની શેરીમાં થોડા સમય પહેલા ભુગર્ભ ગટર અને નવો સિમેન્ટ રોડ બનાવવામાં આવ્યો છે. આ રસ્તા પર ભારે વાહનની અવર-જવરના કારણે ભુગર્ભ ગટર તુટી ગઈ હતી. જ્યાં સ્કૂલ બસ અને એક અન્ય બસ ફસાઈ ગઈ હતી. ફસાઈ ગયેલા વાહનોને કાઢવામાં સમય લાગતા વાહનોની લાંબી કતારો થઈ ગઈ હતી. ત્યારબાદ સ્થાનિકોએ અકસ્માત ન થાય તે માટે ડાયવર્ઝનના રસ્તા પર તુટી ગયેલી ભુગર્ભ ગટર પાસે સલામતી ખાતર મોટા પથ્થરોની આડસ કરી દીધી છે. એકીસાથે રસ્તાની બંને સાઈડ પર કામ કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર મામલે સ્થાનિકોએ રોષભેર જણાવ્યું હતું કે, ભારત મીલની શેરીમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી કામ કરતું જેસીબી બંધ હાલતમાં છે છતાં પણ મનપાના અધિકારીઓ તાત્કાલીક બંધ થયેલું કામ શરૃ કરાવવાના બદલે કોઈ જાતની દરકાર દાખવતા નથી. જૂનાગઢ શહેરમાંથી રાજકોટ જવા તથા રાજકોટથી જૂનાગઢ શહેરમાં આવવા માટેનો મુખ્ય રસ્તો હોવા છતાં મનપાના જવાબદારો ગંભીરતા દાખવતા નથી. છેલ્લા ઘણા દિવસોથી આ રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ છે. અકસ્માત સર્જાઈ તે પહેલા ગંભીરતા દાખવી રસ્તાનું કામ તાત્કાલીક પૂર્ણ કરાવવા માંગ ઉઠી રહી છે.