જામનગરના ઇન્વર્ટરના વેપારી સાથે રૂપિયા 2.45 લાખની છેતરપિંડી કરનાર બન્ને આરોપીઓને પકડી લેવાયા
Jamnagar Fraud Case : જામનગરમાં કૃષ્ણનગર શેરી નંબર-4 માં રહેતા અને સત્યમ કોલોની વિસ્તારમાં પ્રમુખ એન્ટરપ્રાઇઝ નામની ઇલેક્ટ્રોનિક્સના માલ સામાનની દુકાન ધરાવતા ઉમંગભાઈ મનીષભાઈ પટેલે પોતાની સાથે ઇન્વર્ટર અને બેટરીની ખરીદીના મામલે રૂપિયા 2,45,000 ની છેતરપિંડી કરવા અંગે ઇમરાન ઓસ્માણભાઈ બાદી, અને રાયમલ હાજીભાઈ ઘુઘા સામે ફરિયાદ નોંધાવી હતી. જે બંને આરોપીઓને સીટી સી. ડિવિઝન પોલીસે ઝડપી લીધા છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીની વેપારી પેઢીમાંથી બંને આરોપીઓએ રૂપિયા 2,45,000 ની કિંમતના ઇન્વર્ટર-બેટરીના 14 સેટની ખરીદી કરી હતી, અને તેના બદલામાં ચેક આપ્યા હતા. કે જે બેંકના ખાતામાં પૈસા ન હોય તેવું જાણવા છતાં ચેક આપીને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. જેથી મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો. જામનગરના અંધાશ્રમ આવાસના બ્લોકમાં રહેતા બંને આરોપીઓને પોલીસે પકડી પાડયા હતા, અને તેઓ પાસેથી રૂપિયા 2 લાખ 45 હજારના 14 નંગ ઇનવર્ટર અને બેટરીના સેટ કબજે કરી લીધા છે.