સુરત પાલિકામાં એપ્રિલ અને મે મહિનામાં કુલ 2.17 લાખ મિલકતદારોએ 359 કરોડનો એડવાન્સ ટેક્સ ભર્યો
Surat Corporation : સુરત મહાનગરપાલિકામાં ઓકટ્રોયની નાબૂદી બાદ મિલકત વેરાની આવક પાલિકાની આવકનો મુખ્ય સ્ત્રોત બની ગઈ છે. સુરત પાલિકાએ મિલકત વેરાની વસુલાત વધુ થાય તે માટે એપ્રિલ અને મે માસમાં સાત વેરામાં રિબેટ આપવાનો નિર્ણય કર્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રિબેટ મેળવવા માટે સુરતીઓ ઉતાવળા બન્યા છે. સુરત પાલિકાની તિજોરીમાં એપ્રિલ માસમાં જ વેરા પેટે 359 કરોડથી વધુ જમા થઈ ગયો છે. સુરતના 2.57 લાખ મિલકતદારોએ નાણાકીય વર્ષ શરૂ થયાના બે મહિનામાં જ વેરો જમા કરાવી દીધો છે.
સુરત પાલિકાએ લોકો મિલ્કત વેરો ભરવા માટે એપ્રિલ માસમાં 10 ટકા અને મે માસમાં સાત ટકા રિબેટ આપવામાં આવે છે. જો કોઈ કરદાતા ઓનલાઈન વેરો ભરે તો વધારાના બે ટકા રિબેટ આપવામા આવે છે જેના કારણે સુરતીઓ વેરો ભરવા માટે ઉતાવળ કરે છે અને આ વેરાના કારણે પાલિકાનો વિકાસ પણ ઝડપી બની રહ્યો છે. નાણાકીય વર્ષ શરૂ થયાના પહેલા પખવાડિયામાં જ પાલિકાની તિજોરીમાં 100 કરોડની મિલકત વેરો જમા થઈ ગયો હતો. બે મહિનામાં એડવાન્સ વેરો જમા થયો તેના સામે સુરત પાલિકાએ 18.72 કરોડ રૂપિયાનું રિબેટ આપ્યું છે. સુરત પાલિકા દ્વારા ઓનલાઈન વેરા વસુલાતની કામગીરી શરૂ કરી છે જેના કારણે હવે લોકો ઓનલાઈન વેરો ભરતા થયાં છે. બે મહિનામાં સુરત પાલિકાએ 94026 લોકોએ 185.30 કરોડનો વેરો પાલિકાની તિજોરીમાં જમા કરાવી દીધો છે. સુરતીઓ જે રીતે એડવાન્સમાં વેરો ભરીને રિબેટ લઈ રહ્યાં છે તેના કારણે પાલિકાની વેરા વસુલાતની કામગીરીમાં રાહત થવા સાથે જે આવક થઈ રહી છે તેનાથી વિકાસના કામો પણ ઝડપથી થઈ રહ્યાં છે.