Gujarat

પાલિતાણામાં મારામારી-મકાન તોડી નાંખવાની ઘટનામાં 17 શખ્સને સજા

By GS Team
12 Aug 20252 mins read
This article was originally published on 12 Aug 2025
પાલિતાણામાં મારામારી-મકાન તોડી નાંખવાની ઘટનામાં 17 શખ્સને સજા

- સાડા ત્રણ વર્ષ પૂર્વેની ઘટનામાં ભાવનગર કોર્ટનો ચુકાદો

- 2 શખ્સને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકાયા

ભાવનગર : પાલિતાણામાં મારામારી કરી મકાન ઉપર જેસીબી ફેરવી તોડી નાંખવાની ચકચારી ઘટનામાં ભાવનગર કોર્ટે ૧૭ આરોપીને દોષિત ઠેરવી છ માસથી લઈ બે વર્ષ સુધીની સજા ફટકારી છે.

પાલિતાણામાં ગત તા.૨૫-૩-૨૦૨૨ના રોજ બપોરના સમયે ૧૯ જેટલા શખ્સોએ એક-બીજાની મદદગારીથી પૂર્વ આયોજીત ગુનાહિત કાવતરું રચી ગેરકાયદે મંડળી હથિયારો લઈ આવી કરણસિંહ ગોહિલ અને અન્ય સાહેદો સાથે મારામારી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી જેસીબીથી મકાન પાડી દઈ લોકોને ગોંધી રાખી સોનાનું મંગળસૂત્ર, કાનના બુટિયા, રોકડ રકમ, વીજ મીટર લઈ ટ્રેક્ટરમાં સામાન ભરી કરણસિંહના બીજા મકાનમાં મોકલી દીધો હતો.

જે બનાવ અંગે કરણસિંહ ગોહિલે પાલિતાણા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાનમાં આ અંગેનો કેસ ભાવનગરના ત્રીજા એડીશનલ સેશન્સ જજ એચ.એસ. દવેની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ વિજય જી. માંડલિયા, ફરિયાદી પક્ષે વીથ પ્રોસિક્યુશન એડવોકેટ કિર્તીભાઈ શુકલ, હિમાંશુભાઈ વોરાની દલીલો, આધાર-પુરાવા વગેરેને ગ્રાહ્ય રાખી ચીથર ઉર્ફે પપ્પુ બોઘાભાઈ બોળિયા, દેવા ભકાભાઈ મેર, યુનુસ મજીદભાઈ સમા, કરણ વશરામભાઈ વાઘેલા, અર્જુન વશરામભાઈ વાઘેલા, વાલા ભોથાભાઈ રાઠોડ, રાઘવ ઉર્ફે રવિ મકાભાઈ પરમાર, સીકંદર નુરમહમદભાઈ સમા, જસા અરજણભાઈ રાઠોડ, પારસ ઉર્ફે અભી કાળુભાઈ મેર, બળવંત રત્નાભાઈ પરમાર, જગદીશ ઉર્ફે લાલો ઉર્ફે શેફડ દેવાભાઈ પરમાર, સંતોષ ઉર્ફે સતો હીરાભાઈ બોળિયા, સંતોષ વશરામભાઈ બોળિયા, હિતેશ પાંચાભાઈ ચાવડા, રાયા ઉર્ફે અશોક ભોપાભાઈ કસોટિયા, કાના નાનુભાઈ બોળિયાને છ માસથી લઈ બે વર્ષ સુધીની સજા ફટકારી છે. જ્યારે યુસુબ ઉર્ફે યુસુફ સુમારભાઈ સમા અને મયુદ્દીન સુમારભાઈ સમા નામના શખ્સોને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો.