કરજણ તાલુકાના બામણગામના પેટ્રોલ પંપના 17 કર્મચારીઓ દ્વારા રૂ. 94,33, લાખની ઉચાપત
Vadodara : વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના બામણગામમાં આવેલા સીએનજી પેટ્રોલ પંપના 17 કર્મચારીઓએ ભેગા થઈ દ્વારા જુદી જુદી શિફ્ટમાં મળેલી રકમના ખોટા હિસાબ બનાવી રૂપિયા 94,33,086ની ઉચાપત કરી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ વરણામા પોલીસ મથકે નોંધાઇ છે.
મળતી માહિતી અનુસાર વડોદરા તાલુકાના અણખોલ ગામની તક્ષઓરા સોસાયટીમાં રહેતા 32 વર્ષના વરુણ નવનીત પટેલ બામણગામમાં આવેલા એલ.એન.જી એક્સપ્રેસ ઇન્ડિયા સીએનજી પેટ્રોલ પંપ પર ફરજ બજાવે છે. તેઓએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે વર્ષ 2024 ના એપ્રિલ માસની આઠમી તારીખના સવારે છ વાગ્યાથી બીજા દિવસના સવારે 06:00 વાગ્યા દરમિયાન પેટ્રોલ પંપ પર બેઝુરાજ વસાવા (રહે-કંડારી), કનુ માછી (રહે-કરજણ), ખોડા વસાવા (રહે-કંડારી), ગણેશ પઠાડે (રહે-વડોદરા), મેહુલ પાટણવાડિયા (રહે-અકોટાદર), રઘુવીરસિંહ રાજ (રહે-ધમણાદ ભરૂચ), દેવેન્દ્રસિંહ ધરીયા (રહે-રાજસ્થાન), નટુ પઢિયાર (રહે-પીગલવાડા), ગોપાલસિંહ સિંધા (રહે-માંગલેજ), ધારીક પરમાર (રહે-રારોદ), મેહુલ ગોહિલ (રહે-મોટી કોરલ), વિપુલ વસાવા (રહે-હસેપુર), રાકેશ વસાવા (રહે-કંડારી), ગોપાલ માછી (રહે-ચોરંદા) અને સુરેશ વસાવા (રહે-કંડારી) તેમજ પ્રવીણ ગોહિલ (રહે-મોટી કોરલ) મળી 17 વ્યક્તિએ ભેગા થઈ પોતાની અલગ અલગ શિફ્ટમાં યુપીઆઈ પેમેન્ટ તરીકે કેશની રકમમાંથી અમુક રકમ દર્શાવી હતી. અને હસ્તલિખિત હિસાબો બનાવી તેને કંપનીમાં ખોટી રીતે જમા કરાવ્યા હતા. તેની જાણ થતા તમામ પાસેથી ભેગા મળી 5,05,000 રિકવર કરવામાં આવ્યા હતા જ્યારે બાકીના રૂપિયા 94,33,086 ની ઉચાપત કરી કંપની સામે વિશ્વાસઘાત કર્યો હોવાથી મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.