પડતર પ્રશ્નો નહીં ઉકેલાતા ત્રણ દિવસ સામૂહિક રજા
લઘુતમ વેતન મુજબ પગાર વધારો, નવા મોબાઇલ ફોન, ઉનાળું વેકેશન આપવા સહિતની માંગણીઓ
બાલાસિનોર શહેર અને તાલુકામાં આવેલી તમામ આંગણવાડીના વર્કરો અને હેલ્પરો દ્વારા રાજ્યવ્યાપી લડતમાં ભાગ લઇને તા.૧૮થી ૨૦ માર્ચ સુધી રજા રાખી છે. જેના પગલે તાલુકાની તમામ ૧૬૩ આંગણવાડીને તાળાં લાગ્યા છે. આંગણવાડી વર્કરો અને હેલ્પરો દ્વારા આ અંગે જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત સરકારે ૨૦૨૨ પછી પગારમાં કોઇ વધારો કર્યો નથી. ત્યારે હાઇકોર્ટના ચુકાદા મુજબ વેતન વધારો કરીને લઘુતમ વેતન જેટલો પગાર વધારો આ૫વા, સરકારની વિવિધ ડિજિટલ કામગીરી કરવા માટે નવા મોબાઇલ ફોન આપવા, નિવૃત્તિની વય મર્યાદા વધારી ૬૦ વર્ષ કરી આપવા, ઉનાળું વેકેશન આપવા સહિતની માંગણીઓ લાંબા સમયથી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી સુધી કરાયેલી રજૂઆતોનું કોઇ અસરકાર પરિણામ આવ્યું નથી. પરિણામે આંગણવાડી વર્કરો અને હેલ્પરો દ્વારા ત્રણ દિવસની સામૂહિક રજા રાખીને વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કરાયું છે.
ગુજરાતભરમાં શરૂ કરાયેલી આ લડતમાં બાલાસિનોર શહેર અને તાલુકાની આંગણવાડીના કર્મચારીઓ પણ જોડાયા છે.


