વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં હંગામી અધ્યાપકોની નિમણૂંકની હાલમાં ચાલી રહેલી પ્રક્રિયામાં વિસંગતતાઓ સામે આવી છે.યુનિવર્સિટી રજિસ્ટ્રારે તા.૧૧ જૂને જ તમામ ડીનને વોટસએપ ગુ્રપમાં સૂચના આપીને કહ્યું હતું કે, વર્તમાન હંગામી અધ્યાપકોને તા.૩૦ સુધી એક્સ્ટેન્શન આપવાનું છે અને આ માટે તા.૧૩ જૂનના રોજ તેમણે એક ઓર્ડર પણ કર્યો હતો.
આમ છતા ટેકનોલોજી ફેકલ્ટી સત્તાધીશો દ્વારા હંગામી અધ્યાપકોને તા.૧૨ના રોજ છૂટા કરી દેવાયા હતા અને નવા શૈક્ષણિક વર્ષ માટે જેમની પસંદગી થઈ છે તેવા ૧૬૦ જેટલા ઉમેદવારોને નોકરી જોઈન કરવા માટેના ઓર્ડર પણ કરી દેવામાં આવ્યા હતા.જ્યારે અન્ય એક પણ ફેકલ્ટીમાં હંગામી અધ્યાપકોની નિમણૂંકના ઓર્ડર થયા નથી.કારણકે ઈન્ટરવ્યૂ પૂરા થયા બાદ અત્યારે પસંદ થયેલા ઉમેદવારોના ડોક્યુમેન્ટસની ચકાસણી અને ફેકલ્ટીએ આપેલા વર્કલોડ પ્રમાણે જગ્યાઓની જરુર છે કે નહીં તેની ચકાસણી ચાલી રહી છે.
જોકે ટેકનોલોજી ફેકલ્ટીમાં રજિસ્ટ્રારના ઓર્ડરને બાજુ પર મૂકીને હંગામી અધ્યાપકોને અપાયેલા ઓર્ડરથી યુનિવર્સિટીના એડીઈ( એડમિનિસ્ટ્રેટિવ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ)સેક્શનની કામગીરી પર અન્ય ફેકલ્ટી ડીનો સવાલ ઉઠાવી રહ્યા છે.
ટેકનોલોજીમાં તો હજી પહેલા વર્ષના એડમિશન પણ થયા નથી અને હંગામી અધ્યાપકોની નિમણૂક પણ કરી દેવાઈ છે.આમ આ અધ્યાપકો પાસે તો ભણાવવા વિદ્યાર્થીઓ પણ નહીં હોય અને યુનિવર્સિટી તેમને પગાર ચૂકવશે.


