Get The App

શાપર-વેરાવળમાં નવ મહિનામાં 1545 લોકોને કૂતરાં કરડયા

Updated: Oct 18th, 2025

GS TEAM

Google News
Google News
શાપર-વેરાવળમાં નવ મહિનામાં 1545 લોકોને કૂતરાં કરડયા 1 - image

બાળકો પર હુમલાના બનાવ વધતાં તંત્ર જાગ્યું

સ્વૈચ્છિક સંસ્થાની મદદથી બે તબક્કામાં 127 શ્વાનોને પકડીને હડકવા વિરોધી રસીકરણ કરાયું, દિવાળી બાદ વસ્તી નિયંત્રણની કવાયત

રાજકોટ: રાજકોટ-ગોંડલ હાઇવે પર સ્થિત શાપર-વેરાવળ ઔદ્યોગિક વસાહતી અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખૂંખાર શ્વાનોનો આતંક વધી ગયો છે. જેમાં છેલ્લા નવ મહિનામાં જ ૧૫૪૫ જેટલા લોકો પર શ્વાનોએ હુમલો કર્યો હોવાથી ગભરાટ ફેલાઇ જતાં અંતે વહીવટી તંત્ર જાગ્યું છે અને ૧૨૭ શ્વાનોને પકડીને હડકવા વિરોધી રસીકરણ કરવમાં આવ્યું છે.

રાજકોટ જિલ્લાના ૫૯૮ ગામડામાં છ વર્ષમાં શ્વાનોની સંખ્યા વધીને ૧.૩૫ લાખને પાર પહોંચી છે અને કરડવાનાં કેસ પણ વધ્યા છે. આવા સમયે કોટડા સાંગાણી તાલુકાના શાપર વેરાવળ ખાતે છેલ્લા ૯ મહિનામાં ૧૫૪૫ જેટલા માણસોને કુતરા કરડવાની તેમજ બાળકો પર હુમલા કર્યાની ઘટનાઓ સામે આવી હતી. જે ધ્યાને લઇને રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા પ્રાથમિક તપાસ બાદ આરોગ્ય અને પશુપાલન વિભાગ તથા કોટડા સાંગાણી તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત સાથે રાખી ગોલ ફાઉન્ડેશન સંસ્થાના સહયોગથી રખડતા કુતરાઓને હડકવા વિરોધી રસીકરણનું અભિયાન શરૂ કરાયું હતું. 

જેમાં ગત તા.૫મીના રોજ ૩૬ કુતરાઓને રસીકરણ કરવામાં આવ્યું હતું. બાદમાં ગ્રામ પંચાયત દ્વારા ઓળખ કરેલા સ્થળોએ તા.૧૭ના રોજ વધુ ૯૧ કુતરાઓને હડકવા વિરોધી રસી આપવામાં આવી છે. આ રસીકરણ અભિયાન તબક્કાવાર આગળ વધારી શાપર વેરાવળ ખાતેનાં મોટા ભાગના વિસ્તારોમાં કૂતરાઓને આવરી લેવા પ્રયત્નો કરવામાં આવશે. આ ઉપરાંત દિવાળી બાદ આ વિસ્તારમાં રખડતા કુતરાઓની વસ્તી નિયંત્રિત કરવા માટે પણ આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદે જણાવ્યું છે.


રાજકોટ જિલ્લામાં છ વર્ષમાં શ્વાનો બમણાં થયાનો અંદાજ

તાલુકો

૨૦૧૯

૨૦૨૫

રાજકોટ

૩૩૧૦૭

૬૭૩૦૦

ધોરાજી

૨૦૦૨

૪૧૦૦

ગોંડલ

૫૯૯૦

૧૨૭૦૦

જામકંડોરણા

૧૬૬૨

૩૨૫૦

જસદણ

૫૧૮૦

૧૦૩૫૦

જેતપુર

૩૩૯૮

૬૯૦૦

કો.સાંગાણી

૨૧૨૭

૩૮૫૦

લોધિકા

૨૧૮૯

૩૬૦૦

પડધરી

૫૬૧૭

૧૧૧૫૦

ઉપલેટા

૨૨૭૩

૪૩૫૦

વિંછીયા

૩૮૭૭

૭૪૫૦

કુલ

૬૭૪૨૨

૧૩૫૦૦૦