Gujarat

લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની અસર

By GS TEAM
15 Feb 20262 mins read
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની અસર

- માતરના સિંજીવાડા ગામમાં લગ્નમાં ભોજન બાદ ઉલટી અને ગભરામણની ફરિયોદ  

- આરોગ્ય વિભાગે ગામમાં ઓપીડી શરૂ કરીને સારવાર આપી, આઇસ્કીમના નમૂના લઇ લેબમાં મોકલાયા  

નડિયાદ : ખેડા જિલ્લાના માતરના સિંજીવાડા ગામે લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ ૧૫૦થી ૨૦૦ લોકોને ખોરાકી ઝેરની અસર થતાં નાસભાગ મચી ગઇ હતી. અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ હતી. આરોગ્ય વિભાગ દ્વારા રાત્રે જ સર્વે અને સારવારની કામગીરી હાથ ધરી હતી.આરોગ્ય વિભાગે આઇસ્કીમના નમૂના પણ લીધા હતા. 

માતાર તાલુકાના સિંજીવાડા ગામે લગ્ન પ્રસંગમાં સાંજના સમયે ભોજન લીધાના ચાર કલાક બાદ લોકોને ઝાડા- ઉલટી અને ગભરામણની ફરિયાદો થતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.આઇસ્કીમ ખાધા બાદ ૧૫૦થી ૨૦૦ લોકોને ખોરાકી ઝેરની અસર થતાં આસપાસની હોસ્પિટલમાં લોકોને ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં લોકોમાં દોડધામ મચી ગઇ હતી અને જિલ્લા આરોગ્ય અધિકારી, નાયબ મામલતદાર અને આરોગ્ય વિભાગનો સ્ટાફ સિંજીવાડા ગામે દોડી આવ્યો હતો અને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ગામમાં ઘેર ઘરે જઇને સર્વે શરૂ કર્યો હતો. અસરગ્રસ્તને સ્થળ પર જ સારવાર આપાવમાં આવી હતી. જેમાં પાંચ લોકોને તબિયત વધુ નાજુક જણાતા અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા અને સારવાર બાદ રજા આપી દેવામાં આપી હતી. હાલમાં તમામ દર્દીઓની હાલત સ્થિત હોવાનું જાણવા મળ્યું છે. 

લગ્નમાં હલવો, રોટલી, પુરી, દાળ શાક જેવી વાનગીઓ સાથે આઇસ્કીમ પણ રાખવામાં આવ્યો હતો. જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યા છે કે, રાત્રે માહિતી મળતા જ ડોક્ટરોનો સ્ટાફ દ્વારા ઓપીડી શરૂ કરીને સારવાર આપવાની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં આઇસ્કીમના કારણે ખોરાકી ઝેરની અસર થાવની સંભાવના છે. વહીવટી તંત્ર દ્વારા ખોરાકના નમૂના લાઇ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને હાલમાં સ્થિતિ  નિયંત્રણમાં છે.