આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 15 ફોર્મ ભરાયા
- ગામોમાં સર્વાનુમતે સરપંચના નામ નક્કી કરવા કવાયત
- સરપંચ માટે આણંદ, ઉમરેઠ, આંકલાવમાં એક-એક અને ખંભાતમાં બે ઉમેદવારીપત્ર ભરાયા
આણંદ જિલ્લામાં તા. ૨૨મી જૂને ૧૫૯ સામાન્ય અને ૧૦૦ બેઠકોની પેટાચૂંટણીઓ સહિત ૨૫૯ ગ્રામ પંચાયતોમાં ચૂંટણીઓ યોજાવાની છે. ત્યારે ચૂંટણીનું જાહેરનામુ પ્રસિદ્ધ થયાના બીજા દિવસે આણંદ જિલ્લામાં સરપંચપદ માટે પાંચ અને વોર્ડના સભ્યો માટે ૧૦ જેટલા ફોર્મ ભરાયા હતા. જેમાં આણંદ અને ઉમરેઠ તાલુકાઓમાં સરપંચપદ માટે એક- એક ફોર્મ અને સભ્યપદ માટે બે ફોર્મ ભરાયા છે. આંકલાવ તાલુકામાં સરપંચ માટે એક અને સભ્યપદ માટે ત્રણ, ખંભાત તાલુકામાં સરપંચ માટે બે અને સભ્યપદ માટે પાંચ ફોર્મ ભરાયા હતા.આણંદ જિલ્લાના ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. ગામડાઓમાં છેલ્લા બે દિવસથી મોડી રાતે સરપંચ પદના ઉમેદવારોની પસંદગી કરવા માટે બેઠકો યોજાઇ રહી છે અને સર્વાનુમતે સરપંચના નામ નક્કી કરવા સંદર્ભે કવાયતો શરૂ કરવામાં આવી રહી છે.