વડોદરાથી 137 યુનિટ બ્લડ અમદાવાદ ખાતે રવાના કરાયું
અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થયા બાદ વડોદરામાં પણ સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલને એલર્ટ પર મૂકી દેવામાં આવી હતી.અમદાવાદમાં લોહીની જરુરિયાત છે તેવી જાણકારી શરુઆતના તબક્કે વહેતી થતા વડોદરા શહેરની સરકારી અને ખાનગી એમ તમામ બ્લડ બેન્કો સાથે સંકલન સાધીને ઓ નેગેટિવ બ્લડના ૧૩૭ યુનિટ એમ્બ્યુલન્સમાં અમદાવાદ ખાતે રવાના કરાયા હતા.
સયાજી હોસ્પિટલની બ્લડ બેન્કના વરિષ્ઠ ડોકટરે કહ્યું હતું કે, ફ્લાઈટ ક્રેશ થયા બાદ બ્લડની જરુર છે તેવી જાણકારી મળતાની સાથે જ કાર્યવાહી કરવામાં આવી હતી.આ પ્રકારની ઈમરજન્સી વખતે દર્દીઓના બ્લડ ટેસ્ટ કરીને તેમનું બ્લડ ગુ્રપ જાણવા માટેનો સમય નથી હોતો.ઓ નેગેટિવ એવું બ્લડ ગુ્રપ છે જેનું બ્લડ કોઈને પણ ચઢાવી શકાય છે.એટલે અમે સૌથી પહેલા તો ઓ નેગેટિવ ગુ્રપના યુનિટ અમદાવાદ રવાના કર્યા છે.
તેની સાથે સાથે વડોદરાની પાંચ બ્લડ બેન્કો સાથે સંકલન સાધીને જરુર પડે તો બીજા ૧૩૦૦ જેટલા બ્લડ યુનિટ અને ૭૦૦ જેટલા પ્લાઝમા તૈયાર રાખ્યા છે.
દરમિયાન સયાજી હોસ્પિટલમાં અને ગોત્રી હોસ્પિટલમાં પણ આ દુર્ઘટનાના પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો.ખાસ કરીને સર્જરી, ઓર્થોપેડિક વિભાગના ડોકટરો તેમજ નર્સનો તૈયાર રહેવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.હોસ્પિટલમાં એક વોર્ડ પણ તૈયારી કરી દેવામાં આવ્યો હતો.જોકે સાંજ સુધી સયાજી કે ગોત્રી હોસ્પિટલના ડોકટરોને અમદાવાદ જવાની કોઈ સૂચના મળી નહોતી.