અમદાવાદમાં 37 વર્ષ પહેલા વિમાન ક્રેશની ઘટનામાં 133 લોકોના મુત્યુ થયા હતા.
લંડન જતી ફલાઇટ ક્રેશ થતા 1988માં બનેલી દુર્ધટના તાજી થઇ
પાયલોટ ઓછી વિઝિબિલિટીમાં રન વે શોધવાનો પ્રયાસ કરતા હતા.
અમદાવાદ,12 જૂન,2025 ગુરુવાર
અમદાવાદમાં ૩૭ વર્ષ પહેલા પણ ૧૯ ઓકટોબર ૧૯૮૮માં એક વિમાન ક્રેશ થયું હતું જેમાં ૧૩૩ લોકોના મુત્યુ થયા હતા. ઇન્ડિયન એરલાઇન્સનું વિમાન મુંબઇથી અમદાવાદ આવતું હતું ત્યારે વિમાન અમદાવાદ એરપોર્ટની નજીક તુટી પડયું હતું. ઇન્ડિયન્સ એરલાયન્સનું વિમાન બોઇંગ ૭૩૭ -૨૦૦ ઓછી વિઝિબિલિટીના કારણે ઝાડ અને વિજળીના ટ્રાન્સમિશન ટાવર સાથે ટકરાતા ક્રશ થયું હતું,
આ અકસ્માતમાં પણ એક પ્રવાસીનો અદભૂત બચાવ થયો હતો. બાકીના તમામ મુસાફરો માર્યા ગયા હતા. મુંબઇથી સવારે ૬.૨૦ લાગે વિમાન મુંબઇથી અમદાવાદ માટે પેસેન્જર વિમાન રવાના થયું પરંતુ અમદાવાદ એરપોર્ટ પર ઓછી વિઝિબિલિટીના લીધે પાયલોટે હવામાન અંગેની માહિતી માંગી હતી પરંતુ લેન્ડિંગની અનુમતી માંગી ન હતી. સવારે ૬.૫૩ વાગે ચિલોડાના કોતરપુર પાસે એક ઝાડ અને વીજળીના ટ્રાન્સમિશનને વિમાન ટકરાયું હતું.
કોકપિટમાંથી વોઇસ રેકોર્ડરના આધારે માહિતી બહાર આવી હતી કે પાયલોટ ઓછી વિઝિબિલિટીમાં રન વે શોધવાનો પ્રયાસ કરતા હતા. આ પ્રયાસમાં બે પાયલોટ વિમાન નીચે પણ ઉતારી રહયા હતા. જયારે વિમાન ૧૦૦૦ ફૂટ જેટલું નીચે આવી ગયું ત્યારે એરપોર્ટથી ૩ કિમી દૂર વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ ઘટના પછી ૧૨ જૂન ૨૦૨૫ના રોજ અમદાવાદથી લંડન જઇ રહેલા વિમાન આગનો ગોળો બની જતા ૨૪૨ લોકોના મોત થયા છે. આથી લોકોને ૧૯૮૮માં બનેલી ઘટનાની યાદ તાજી થઇ છે.
ભારતમાં ૧૯૩૮માં ભારતમાં પ્રથમ વિમાન અકસ્માત થયો હતો.
ભારતના એવિએશનના ઇતિહાસમાં વિમાન અકસ્માતની આમ તો અનેક ઘટનાઓ બની છે પરંતુ પ્રથમ વિમાન ક્રશની ઘટના આઝાદી પહેલા ૧ માર્ચ ૧૯૩૮ના રોજ દતિયા મધ્યપ્રદેશમાં બની હતી. વિયેતનામના હનોઇથી ફ્રાંસના પેરિસ જઇ રહેલા વિમાનમાં આગ લાગવાથી 3 ક્રુ મેમ્બર અને ૪ પ્રવાસીઓ સહિત કુલ ૭ લોકોના મોત થયા હતા. બીજો વિમાન અકસ્માત ૧૪ ઓગસ્ટ-૧૯૪૩માં લોનાવલા મહારાષ્ટ્રમાં થયો હતો જેમાં ૬ ના મોત થયા હતા. ટાટા નેશનલ એરલાઇન્સનું સ્ટિંસન મોડેલનું વિમાન કોલંબોથી કરાંચી જઇ રહયું હતું જે લોનાવલાના પહાડની ટોચ સાથે ટકરાયું હતું.