કચ્છમાં વડાપ્રધાનના કાર્યક્રમમાં મેદની માટે 1300 એસ.ટી.બસો તહેનાત થશે
સંરક્ષણ મંત્રી પછી પ્રધાનમંત્રી સરહદી જિલ્લાની મુલાકાતે : અસંખ્ય રૂટો રદ થશે, રાજકોટ મહાપાલિકા દ્વારા પણ 10 બસોમાં પદાધિકારીઓ વગેરેને મોકલવા આયોજન : કાર્યક્રમના દિવસે ભારે વરસાદની ચેતવણી પણ હોવાથી તૈયારીનો ધમધમાટ
રાજકોટ, : આગામી તા. 26ને સોમવારે વડાપ્રધાનની સંભવિત કચ્છ મુલાકાતના પગલે વહીવટીતંત્રમાં તૈયારીનો ધમધમાટ શરૂ થયો છે જેમાં સૌરાષ્ટ્રભરમાંથી મેદની લાવવા-લઈ જવા માટે 1300 એસ.ટી.બસો રોકવામાં આવી રહ્યાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધ જેવી પરિસ્થિતિમાં કચ્છ જિલ્લો સંવેદનશીલ રહ્યો છે અને પાકિસ્તાને ડ્રોન હુમલામાં તેને નિશાન બનાવ્યું હતું જેને ભારતની સેનાએ નિષ્ફળ બનાવેલ હતો. તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આ સરહદી જિલ્લાની મુલાકાત લીધા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત યોજાઈ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છમાં વડાપ્રધાનની વિશાળ વોટરપ્રૂફ ડોમમાં સભા યોજાશે જેમાં મોટી સંખ્યામાં શ્રોતાઓ હાજર રહે તેવી તૈયારી થઈ રહી છે જે અન્વયે લોકોને આ સ્થળે લાવવા-લઈ જવા માટે કચ્છ એસ.ટી.ડિવિઝનની 260, રાજકોટ ડિવિઝનની 280, પાલનપુર ડિવિઝનની 160, જામનગર ડિવિઝનની 130 અમરેલી 105 અને જુનાગઢ ડિવિઝનથી 155 સહિત આશરે 1300 એસ.ટી.બસો આ માટે રોકી લેવાશે. જેના કારણે સૌરાષ્ટ્રમાં એસ.ટી.બસોના અંદાજે અઢી હજાર રૂટ રદ કરાશે જેથી હજારો મુસાફરોને આ દિવસે એસ.ટી.બસ સેવા મળશે નહીં.
આ ઉપરાંત અન્ય વાહનોમાં પણ કાર્યકરો વગેરે કચ્છ જશે જેમાં રાજકોટથી મળતી માહિતી મૂજબ મહાપાલિકા દ્વારા પદાધિકારીઓને લઈ જવા માટે ૧૦ બસોનું આયોજન હાથ ધરાયું છે. ઉલ્લેખનીય છે અરબી સમુદ્રમાં વાવાઝોડાની સાથે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં કલાકના ૫૦-૬૦ કિ.મી.ની ઝડપે તીવ્ર પવન, ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ તા.૨૮ સુધી જાહેર કરાયું છે અને આ કાર્યક્રમ તા.૨૬ના છે ત્યારે જો કાર્યક્રમના દિવસે તોફાની વરસાદ આવે તો તેની પણ તૈયારી જરૂરી બની છે.