Gujarat

આણંદ જિલ્લામાં 130 ખાણીપીણીની લારીઓની તપાસ : 22 નમૂના પૃથ્થકરણ માટે મોકલાયા

By GS TEAM
31 Jul 20252 mins read
આણંદ જિલ્લામાં 130 ખાણીપીણીની લારીઓની તપાસ : 22 નમૂના પૃથ્થકરણ માટે મોકલાયા

- આણંદ શહેર, વિદ્યાનગર, ખંભાત, સોજીત્રા અને ચાંગામાં ફૂડ સેફ્ટી વિભાગ ત્રાટક્યું

- 88 કિલોગ્રામ બિનઆરોગ્યપ્રદ ખાદ્ય ચીજોનો જથ્થો નાશ કરવા સાથે 6 પેઢીઓને હાઈજિન અને સેનિટેશન બાબતે નોટિસ ફટકારાઈ

આણંદ : આણંદ જિલ્લામાં આણંદ શહેર, વિદ્યાનગર, ખંભાત, સોજીત્રા અને ચાંગા ખાતે સ્ટ્રીટ ફૂડ- ખાણીપીની ૧૩૦ લારીઓની તપાસ કરી ૨૨ નમુના પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જિલ્લા ફૂડ સેફ્ટી વિભાગની તપાસમાં બિનઆરોગ્યપ્રદ ૮૮ કિ.ગ્રા. ખાદ્ય ચીજોનો જથ્થો નાશ કરવા સાથે ૬ પેઢીઓને હાઈજિન અંગે નોટિસ ફટકારાઈ છે.

આણંદ જિલ્લાના ફૂડ સેફટી વિભાગ દ્વારા ચોમાસાની તુને ધ્યાનમાં રાખીને સ્ટ્રીટ ફૂડ ખાણીપીની લારીઓની વિસ્તૃત તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વિદ્યાનગર ઇસ્કોન મંદિર રોડ, આણંદ ટાઉનહોલ પાસે, ખાઉંદરા ગલી, નવા બસ સ્ટેન્ડ પાસે, ગામડી વડ, ગ્રીડ ચોકડી રોડ, ખંભાત ખાતે બસ સ્ટેશન, ટાવર પાસે, સ્ટેશન રોડ, પ્રેસ રોડ, ડોક્ટર આંબેડકર સર્કલ પાસેના સ્ટ્રીટ ફૂડ તથા નોનવેજ બનાવતી પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત સોજીત્રા ચોકડી ખાતે અને સોજીત્રા બસ સ્ટેન્ડની આસપાસના વિસ્તારમાં તથા ચાંગા અને ચાંગા યુનિવસટીની આસપાસમાં આવેલી ખાણીપીણીની લારી ગલ્લાઓમાં ૧૩૦ ખાણીપીણીના લારી- ગલ્લાઓની તપાસ કરવા સાથે ૨૨ જેટલા નમુના લઈને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર આણંદ દ્વારા જણાવવામાં આવ્યું છે. 

તપાસ દરમિયાન જોવા મળેલી બિન આરોગ્યપ્રદ ખાદ્ય ચીજોના ૮૮ કિલોગ્રામનો જથ્થો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો. ૬ જેટલી પેઢીઓને હાઈજિંન તેમજ સેનિટેશન બાબતે સુધારા કરવા અંગેની નોટિસ આપવામાં આવી છે.