બોરીવલીથી ચોરાયેલું 13 કિલો સોનું માણેકવાડા નજીક ઝાડ પરથી મળ્યું
જૂનાગઢ અને મુંબઈ પોલીસની સંયુક્ત કાર્યવાહી
રાજકોટના સોની વેપારીને ત્યાં સેલ્સમેન તરીકે નોકરી કરતા માણેકવાડાના યુવાન, તેના પિતા સહિત ત્રણ શખ્સને પકડી મુંબઈ પોલીસ લઈ ગઈ
આ અંગેની વધુ વિગત મુજબ કેશોદ તાલુકાના માણેકવાડામાં રહેતો જીગ્નેશ નાથા કુછડીયા રાજકોટના જામનગર રોડ પર રહેતા અને ગોલ્ડ અને ડાયમંડનો શોરૂમ ધરાવતા અજયભાઈ સુરેશભાઈ ધાગડાને ત્યાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો. ગત તા.ર૦ના જીગ્નેશ દાગીના તથા સોનાના ગઠ્ઠા મળી કુલ ૧૩.૩૪ કરોડની કિંમતનું ૧૩ કિલો ૪પપ ગ્રામ સોનું લઈ મુંબઈ ગયો હતો અને ત્યાં બોરીવલી વેસ્ટમાં સુમધુર સોસાયટીમાં રોકાયો હતો. ત્યાંથી આ સોનુ ચોરી કરી જીગ્નેશ નાસી ગયો હતો. આ અંગે મુંબઈના એમએચબી કોલોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી.
મુંબઈ પોલીસ દ્વારા જૂનાગઢ પોલીસને જાણ કરવામાં આવી હતી. મુંબઈના એમએચબી પોલીસ સ્ટેશનના પીઆઈ ગણેશ તારગે તથા તેની ટીમ કેશોદ આવ્યા હતા. જૂનાગઢ એલસીબી તેમજ કેશોદ પોલીસની મદદ લઈ તપાસ શરૂ કરવામાં આવી હતી. આ દરમ્યાન કેશોદ પોલીસને જીગ્નેશ નાથા કુછડીયા, યશ જીવા ઓડેદરાને કેશોદ સોના સાથે લઈ આવ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે જીગ્નેશ નાથા કુછડીયા અને યશ જીવા ઓડેદરાને ત્યાં તપાસ કરતા તેની પાસેથી ૧ કિલો સોનું મળ્યું હતું. વધુ પૂછપરછ કરતા જીગ્નેશે બાકીનું સોનું તેના પિતા નાથા હરદાસ કુછડીયાને આપી દીધુ હોવાની કબૂલાત આપી હતી. કેશોદ પોલીસ, એલસીબી અને એમએચબી કોલોની પોલીસની ટીમે માણેકવાડામાં તપાસ કરી હતી, જેમાં નાથા હરદાસ કુછડીયા પાસેથી બાકીનું ૧ર કિલોથી વધુ સોનું કબ્જે કર્યું હતું.
કેશોદ પોલીસ અધિક્ષક બી.સી. ઠક્કરે જણાવ્યું હતું કે, જીગ્નેશ અને યશની પૂછપરછ દરમ્યાન બાકીનું સોનુ જીગ્નેશના પિતા નાથા હરદાસ પાસે હોવાનું ખૂલતાં તેણે આ સોનુ તેના ઘર પાછળ આવેલી નદીના કિનારે આવેલા ઝાડ પર છુપાવ્યું હતું, જ્યાંથી આ સોનુ કબ્જે કરવામાં આવ્યું હતું. મુંબઈની એમએચબી કોલોની પોલીસ માણેકવાડાના જીગ્નેશ નાથા કુછડીયા, યશ જીવા ઓડેદરા અને નાથા હરદાસ કુછડીયાની ધરપકડ કરી મુંબઈ લઈ ગઈ છે. પોલીસ અધિક્ષકે વધુમાં જણાવ્યું હતું કે, નાથા હરદાસ કુછડીયા અગાઉ હત્યા તથા દારૂના કેસમાં પકડાયો છે. આમ, મુંબઈમાંથી થયેલા ૧૩ કિલોથી વધુના સોનાની ચોરીના કેસમાં તમામ મુદ્દામાલ રિકવર કરી લેવામાં આવ્યો છે.