1200 આંગણવાડીનાં બાળકોને સોમનાથના 7 લાખ લાડુનો પ્રસાદ

સોમનાથ ટ્રસ્ટ દ્વારા 1 કરોડના ખર્ચે લાડુ પ્રસાદરૂપે 28 ટન જેટલો પોષણક્ષમ આહાર બાળકો સુધી પહોંચાડાશે
વેરાવળ, : ગીર સોમનાથ જિલ્લાની આંગણવાડીઓમાં દૈનિક લાડુ વિતરણનો પ્રારંભ કરાયો છે. સોમનાથ ટ્રસ્ટ 1 વર્ષમાં 7 લાખ લાડુનું વિતરણ કરશે. આશરે 1 કરોડના ખર્ચથી લાડુ પ્રસાદ રૂપમાં 28 ટન પોષણયુક્ત આહાર બાળકોને અપાશે.
સોમનાથ ટ્રસ્ટ દ્રારા ગીર સોમનાથ જિલ્લાના નાના ભૂલકાંઓ માટે પોષણ પ્રસાદ વિતરણ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. આગામી એક વર્ષ દરમિયાન જિલ્લામાં કુલ 7 લાખ લાડુ આંગણવાડીના ભૂલકાંઓને દૈનિક પ્રસાદ રૂપે વિતરણ કરાશે. અંદાજિત રૂા 1 કરોડના ખર્ચે સોમનાથ મહાદેવના લાડુ પ્રસાદ સ્વરૂપ 28 ટન જેટલો પોષણક્ષમ આહાર બાળકો સુધી પહોંચાડવામાં આવશે. ટ્રસ્ટ દ્વારા પોષણ પ્રસાદ વિતરણમાં ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકાના 8 આંગણવાડી ઘટકોની 1200થી વધુ આંગણવાડીઓમાં બાળકી, બાળકોને નિયમિત રીતે સુપોષણ યુક્ત આહાર સ્વરૂપે મહાદેવનો પ્રસાદ પહોંચાડવામાં આવશે.








