Gujarat

પોરબંદરમાં વિદેશ મોકલવા અને વર્ક વિઝાની લાલચ આપી 12 લોકો સાથે ઠગાઇ

By GS TEAM
15 Apr 20262 mins read
પોરબંદરમાં વિદેશ મોકલવા અને વર્ક વિઝાની લાલચ આપી 12 લોકો સાથે ઠગાઇ

શિક્ષકે જયપુરની મહિલા તથા કેનેડાના શખ્સ સામે ફરિયાદ નોંધાવી : આરોપીઓએ શિક્ષકને કમિશનની લાલચ આપી કોચીંગલેવડાવી ફસાવ્યા : રૂ. 72 લાખ ટ્રાન્સફર કરાવી લીધા

પોરબંદર, : પોરબંદરમાં રહેતાં શિક્ષકને કમિશન પર કોચીંગ આપી લોકોને યુકે, ન્યુઝીલેન્ડ, જર્મની મોકલવાની અને વર્ક વિઝા આપવાની લાલચ આપી 12 લોકો સાથે રૂ. 72 લાખની છેતરપિંડી કર્યાની જયપુરની મહિલા અને કેનેડાનાં શખ્સ સામે ફરિયાદ નોંધાઇ છે.

પોરબંદરના સુતારવાડામાં આવેલા શ્રી એપાર્ટમેન્ટ ખાતે રહેતા અને હાલ આણંદ જિલ્લાના વિદ્યાનગર શહેરમાં સરકારી શિક્ષક તરીકે નોકરી કરતા ચિરાગ જયેશભાઈ હિંડોચા (ઉ.વ. 34)એ જયપુરની શુભ્રા આચાર્ય અને કેનાડાના રવિ શેરૂ સામે રૂપિયા 72.50 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

ચિરાગભાઇએ જણાવ્યું છે કે તેણે વર્ષ 2015થી 2024 સુધી પોરબંદરમાં આરૂણી કોચિંગ ઇન્સ્ટિટયૂટ એન્ડ ફિઝિક્સ લેબ નામથી ગણિત વિજ્ઞાાન અંગ્રેજી સહિતના વિષયો માટેની કોચિંગ સેવા પૂરી પાડી હતી અને સાથે સાથે આઇ લેટ્સના અભ્યાસક્રમ માટે પણ કોચિંગ કરાવતા હતા. એ સમયે એક વ્યક્તિ સાથે તેને સંપર્ક થતા રવિ શેરૂ અને શુભ્રા આચાર્ય સાથે ઝૂમ મીટીંગ કરીને ઇન્ટરનેશનલ વર્ક વિઝા ફાઇલ કરાવવા માટેની કામગીરીમાં સારી આવક મળે તેમ જણાવ્યું હતું. જેમાં ઓપરચ્યુનિટી ઇન્ટરનેશનલના સ્થાપક રવિ શેરૂ વિદેશ રહેતો હોવાનું અને શુભ્રા આચાર્ય ભારતની ઓપરેશન હેડ હોવાનું જણાવીને તેમની સાથે ઝુમ મીટીંગ કર્યા બાદ વિઝા ફાઇલ કરવાની પ્રક્રિયા અને તેમાંથી કેટલી કમાણી થઈ શકે તેની માહિતી આપી હતી. કુલ ચાર્જના 5થી 20 ટકા કમિશન મળશે તેમ જણાવ્યું હતું.

ત્યાર પછી તે તેની સાથે જોડાઈ ગયા હતા અને 12 જેટલા ક્લાઈન્ટને યુકે, ન્યૂઝીલેન્ડ, જર્મનીમાં વર્ક વિઝા આપવાની ખાતરી આપતા તેણે આરોપી શુભ્રા આચાર્યના એકાઉન્ટમાં તમામ ક્લાઈન્ટ ની ફી પેટે 47,55,005 બેંક ટ્રાન્સફરથી અને પાંચ લાખ આંગડિયા મારફતે તેમજ તેજલબેન ઓડેદરાના ભાઈ મારફતે 10 લાખ ટ્રાન્સફર કર્યા હતા. 5 લાખ રોકડા યુકેમાં શુભ્રા આચાર્યના બિઝનેસ પાર્ટનરને આપ્યા હતા તેમ જ રાજદીપ ઓડેદરા દ્વારા શુભ્રા આચાર્યના એકાઉન્ટમાં 4,95,000 ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ તમામ રકમ મળી 72.50 લાખ મેળવવામાં આવ્યા હતા પરંતુ ક્લાઈન્ટના વિઝા લેટર, ઓફર લેટર તથા ઈનવોઇસ જેવા મહત્વના દસ્તાવેજો ખોટા બનાવીને છેતરપિંડી કરવામાં આવી હતી. 12 વ્યક્તિઓના વર્કવિઝા ન આવતા તમામ લોકો ચીરાગભાઇ પાસે પૈસા માંગતા હતા અંતે તેણે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી શુભ્રા આચાર્ય હાલ જયપુર જેલમાં હોવાનું જાણવા મળ્યું છે.