વડોદરાથી શ્રીલંકા લઈ જવાયેલા ભગવાન બુધ્ધના અસ્થિના 12 લાખ ભાવિકોએ દર્શન કર્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : એમ.એસ.યુનિવર્સિટીના આર્કિઓલોજી વિભાગમાં સચવાયેલા ભગવાન બુધ્ધના અસ્થિને શ્રીલંકામાં યોજાયેલા ધાર્મિક પ્રદર્શનના ભાગરૂપે કોલંબોના ગંગારામાયા મંદિરમાં દર્શન માટે મૂકવામાં આવ્યા હતા. તા.11 સુધી ચાલેલા પ્રદર્શનમાં આ અસ્થિના 12 લાખ જેટલા ભાવિકોએ દર્શન કર્યા હતા.
પ્રદર્શન પૂરું થયા બાદ ભગવાન બુધ્ધના અસ્થિ ગુરુવારે વડોદરા પરત લવાયા છે અને તેને ફરી આર્કિઓલોજી વિભાગના મ્યુઝિયમમાં મૂકવામાં આવ્યા છે. અસ્થિ પરત લેવા માટે શ્રીલંકા ગયેલા પ્રતિનિધિમંડળમાં આર્ટસ ફેકલ્ટીના ડીન પ્રો.કલ્પના ગવલીનો પણ સમાવેશ થતો હતો.

તેમણે એક વાતચીતમાં કહ્યું હતું કે, અમે વિચાર્યું નહોતું તેટલી સંખ્યામાં માનવ મહેરામણ દર્શન કરવા માટે ઉમટયો હતો. અસ્થિના દર્શન 24 કલાક ખુલ્લા રાખવામાં આવ્યા હતા. આમ છતા એટલો ધસારો હતો કે, મંદિર બહાર દર્શન માટે ભાવિકોની 3 કિલોમીટર લાંબી લાઈન સતત જોવા મળતી હતી. માત્ર શ્રીલંકા જ નહીં પણ થાઈલેન્ડ, કમ્બોડિયા, મલેશિયા, બર્મા જેવા દેશોમાંથી પણ ભાવિકો દર્શન કરવા આવ્યા હતા. આટલી ગીર્દી છતા પણ લોકોએ સ્વયંભૂ શિસ્ત જાળવી હતી. ઘણા ભાવિકો દર્શન કરીને ગદગદ થઈ ગયા હતા.
પ્રો.ગવલીનું કહેવું છે કે, આ અસ્થિને શ્રીલંકામાં દર્શન માટે લઈ જવાના નિર્ણયથી ભારત અને શ્રીલંકાના સાંસ્કૃતિક સબંધો નિશ્ચિત રીતે વધારે મજબૂત બન્યા છે.









