નડિયાદ મનપાના 12 તળાવોની 1.25 કરોડના ખર્ચે સફાઈ કરાશે
- અમદાવાદની રામદેવ એન્ટરપ્રાઈઝને વર્કઓર્ડ અપાયો
- સમસ્યા ન સર્જાય માટે શહેર અને આસપાસમાં જોડાયેલા તળાવો વર્ષ સુધી સ્વચ્છ રાખવા પડશે
નડિયાદ : નડિયાદમાં છેલ્લા ઘણા વર્ષોથી સફાઈના અભાવે તળાવોની દુર્દશા થઈ હતી. ત્યારે હવે નડિયાદ મનપા દ્વારા ૧૨ જેટલા મુખ્ય તળાવોને સ્વચ્છ રાખવા રૂા. ૧.૨૫ કરોડના ખર્ચે અમદાવાદની રામદેવ એન્ટરપ્રાઈઝને વર્કઓર્ડર અપાઈ ગયા છે. ત્યારે આગામી બે દિવસમાં તળાવ સફાઈની કામગીરી શરૂ કરાશે.
નડિયાદમાં અનેક તળાવો આવેલા છે. જે પૈકી કેટલાક તો ગામતળ અને આસપાસમાં મુખ્ય વિસ્તારોમાં વચ્ચે જ આવેલા છે. તત્કાલિન નગરપાલિકાના સત્તાધીશો અને વહીવટકર્તાઓના પાપે આ તમામ તળાવોની દુર્દશા થઈ છે.
છેલ્લા કેટલાય વર્ષોથી અનેક તળાવોની સફાઈ કરાઈ નહોતી. જેથી વરસાદી નિકાલ માટે જે લાઈનો તળાવમાંથી થઈને પસાર થાય છે, તે તળાવ સફાઈના અભાવે પાણીનો યોગ્ય નિકાલ ન થતા શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થતા હતા.
ઉપરાંત સફાઈના અભાવે ચોમાસામાં તળાવો ઓવરફ્લો થાય અને તે વખતે તળાવની આસપાસ આવેલા તમામ સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હતા. ત્યારે હવે તળાવની સફાઈ માટે મનપા પ્રશાસન દ્વારા ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ કરી તળાવોની સફાઈનો કોન્ટ્રાક્ટ અમદાવાદની રામદેવ એન્ટરપ્રાઈઝને આપ્યો છે. મહત્તમ ૧.૨૫ કરોડ રૂપિયાના વાષક ખર્ચે એજન્સી દ્વારા નડિયાદ શહેર અને આસપાસમાં જોડાયેલા કેટલાક ગામોના મળી ૧૨ તળાવોની વાષક સફાઈ કરવામાં આવશે. હાલ આ માટેની તમામ દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ થતા સૈદ્ધાંતિક મંજૂરીઓ સાથે વર્ક ઓર્ડર પણ આપી દેવાયો છે. આગામી બે દિવસમાં તળાવની સફાઈની કામગીરી હાથ ધરાશે. રહેણાંક વિસ્તારની આસપાસ આવેલા તળાવોની સફાઈને પ્રથમ પ્રાધાન્ય અપાય તેવી માંગણી ઉઠી છે.
આ 12 તળાવની સફાઈ થશે
ઉંઢેવાળ તળાવ
ડેરી રોડ તળાવ
પીલવાઈ તળાવ
શેરકંડ તળાવ
મૂળેશ્વર તળાવ
ભોજા તળાવ
ખેતા તળાવ
રામ તળાવડી
ઈન્દિરાનગરી તળાવ
મોખાદ તલાવડી
પીપલગ તળાવ
ડભાણ તળાવ