વડોદરા-કરજણ વચ્ચેનો હાઈવે ત્રાસદાયક બન્યો, 12 કિલોમીટરનો ચક્કાજામ, તંત્ર પર ફિટકાર
Vadodara : વડોદરાથી કરજણ વચ્ચેનો માર્ગ વાહન ચાલકો માટે ત્રાસરૂપ બની ગયો છે. રોજેરોજ પાંચથી સાત કિલોમીટરનો જામ થતો હોવા છતાં તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી. પરિણામે આજે 10 થી 12 કિલોમીટર સુધીનો જામ થઈ ગયો હતો.
પોર નજીક પસાર થતી ધાધર નદીના બ્રિજ ઉપર આરપાર દેખાય શકે તેવો મોટો ભૂવો પડતાં ટ્રાફિક પર સીધી અસર પડી છે. જેને કારણે ભારદારી વાહનો ખૂબ જ ધીમેથી પસાર થઈ રહ્યા છે.
સતત ટ્રાફિકથી ધમધમતા વડોદરા સુરતના આ હાઈવે પર વડોદરા નજીક જાંબુઆ ગામથી બામણગામ સુધી ટ્રાફિક જામ થતા અનેક નોકરીયાતો અને ધંધાર્થી અટવાયા હતા.
નોંધનીય છે કે, વડોદરા કરજણ વચ્ચેના સાંકડા બ્રિજને પહોળા કરવા કેન્દ્ર સરકાર તરફથી વારંવાર જાહેરાત કરવામાં આવી છે પરંતુ તેનો અમલ નહીં થતાં આસપાસના ગામના લોકો તેમજ વાહન ચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે અને તંત્ર ઉપર ફીટકાર વરસાવી રહ્યા છે.