એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ ઘટનામાં વડોદરાના કુલ ૧૨ પ્રવાસીની ઓળખ વધુ છ પેસેન્જરોના ડીએનએ મેચ થતા દેહ સોંપાશે
વાસણા અને સયાજીગંજમાં રહેતા બે દંપતી પૈકી પતિના ડીએનએ મેચ પરંતુ પત્નીના ડીએનએનો રિપોર્ટ બાકી
વડોદરા, તા.15 અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ વડોદરાના વધુ છ પ્રવાસીઓના ડીએનએ મેચ થતાં તેમના નશ્વરદેહને તેમના પરિવારજનોને સોંપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર અને જિલ્લાના કુલ ૨૮ પ્રવાસીઓ કે જેઓ લંડન જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બેઠા હતા અને ફ્લાઇટ ટેક ઓફ થયાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થતાં બનેલી ઘટનામાં તેમના જીવ ગયા હતાં. આ દુઃખદ ઘટના બાદ સમગ્ર તંત્ર દ્વારા વહેલીતકે પરિજનોને મૃતદેહો મળે તેવી વ્યવસ્થામાં લાગી ગયું છે. અમદાવાદ ખાતે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વડોદરાના કુલ પ્રવાસીઓ પૈકી વધુ છ પ્રવાસીઓના પણ ડીએનએ મેચ થયા છે આ સાથે કુલ ૧૩ પ્રવાસીઓના ડીએનએ મેચ કરાયા છે. જેઓના ડીએનએ મેચ થયા છે તેમાં વલ્લભ નાગજીભાઇ અધેરાનો સમાવેશ થાય છે જ્યારે તેમના પત્ની વિણાબેનનો ડીએનએ રિપોર્ટ હજી બાકી છે તેવી જ રીતે સયાજીગંજ વિસ્તારમાં રહેતા ઇન્દ્રવદન શશીકાંત દોષીના ડીએનએ મેચ થયા છે પરંતુ તેમના પત્ની જ્યોતિબેનના ડીએનએનો રિપોર્ટ હજી બાકી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે કરજણ તાલુકાના સાંસરોદ ગામનું સરનામું ધરાવતા અલ્તાફહુસેન પટેલના ડીએનએ મેચ થતાં તેમના નશ્વરદેહને સોંપી દેવાયો છે અને દેહને ભરૃચ ખાતે લઇ જવામાં આવ્યો છે. જ્યારે અન્ય પ્રવાસીઓના દેહ આવતીકાલે સોંપવામાં આવશે.
ડીએનએ મેચ થયા તે પ્રવાસીઓના નામ
- વલ્લભભાઇ નાગજીભાઇ અધેરા (રહે.શિવશક્તિ સોસાયટી, શબરી સ્કૂલ પાસે, વાસણા)
તેમના પત્ની વિણાબેનનો ડીએનએ રિપોર્ટ બાકી
- અપર્ણા લાવણીયા (રહે.ફીધર રેસિડેન્સી, અટલાદરા)
- નિરજ લાવણીયા (રહે.ફીધર રેસિડેન્સી, અટલાદરા)
- અલ્તાફહુસેન પટેલ (રહે.સાંસરોદ)
- આનંદીબેન રમણભાઇ રાણા (રહે.તીર્થ બંગ્લોઝ, ડભોઇ-વાઘોડિયા રિંગરોડ)
- ઇન્દ્રવદન શશીકાંત દોષી (રહે.બાદશાહ બિલ્ડિંગ, ગાલવા ચેમ્બર્સ પાછળ, સયાજીગંજ)
તેમના પત્ની જ્યોતિબેનનો ડીએનએ રિપોર્ટ બાકી