Gujarat

નડિયાદના કમળા ઓવરબ્રિજ નીચે પીઓપીની 110 મૂર્તિઓ ઝડપાઈ

By GS TEAM
26 Aug 20251 min read
નડિયાદના કમળા ઓવરબ્રિજ નીચે પીઓપીની 110 મૂર્તિઓ ઝડપાઈ

- વેચાણ કરતા શખ્સ વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુનો

- કમળાથી ડભાણ ચોકડી તરફ પર્યાવરણને નુકસાન કરતી 86  હજારની પીઓપીની મૂર્તિનો નાશ 

નડિયાદ : નડિયાદ શહેરમાં કમળા ચોકડીથી ડભાણ ચોકડી તરફના ઓવરબ્રિજ નીચે સર્વિસ રોડ ઉપર રૂા. ૮૬ હજારની પીઓપીમાંથી બનાવેલી ૧૧૦ મૂર્તિઓનો નાશ કરી ગ્રામ્ય પોલીસે એક શખ્સ વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે. 

નડિયાદ ગ્રામ્ય પોલીસને બાતમી મળેલી કે કમળા ચોકડીથી ડભાણ ચોકડી તરફ જતા ઓવરબ્રિજ નીચેના સવસ રોડ પર એક ઇસમ પ્લાસ્ટર ઓફ પેરીસમાંથી બનાવેલી ગણેશજીની મૂર્તિઓનું વેચાણ કરી રહ્યો છે. પ્લાસ્ટર ઓફ પેરીસમાંથી બનાવેલી મૂર્તિઓનો પાણીમાં વિસર્જન કરતા પાણીજન્ય જીવો નાશ પામે છે, પ્લાસ્ટ ઓફ પેરીસના કારણે પર્યાવરણને નુકસાન પણ થાય છે. ત્યારે સરકારે પર્યાવરણને નુકસાન થતું અટકાવવા પ્લાસ્ટર ઓફ પેરીસમાંથી બનાવેલી મૂર્તિઓનું વેચાણ કરવા તેમજ ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડયું છે. ત્યારે પોલીસે કમળા બ્રિજ નીચે તપાસ કરતા પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિઓ વેચાતી હોવાથી જાહેરનામાનો ભંગ થતો જણાઈ આવ્યો હતો. પરિણામે રૂા. ૮૬ હજારની કિંમતની પીઓપીમાંથી બનાવેલી ગણેશજીની નાની- મોટી ૧૧૦ મૂર્તિઓનો નાશ કરી નડિયાદ ગ્રામ્ય પોલીસે ભવનલાલ રાજુરામ બાવરી સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.