કારેલીબાગની ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી 3 લાખના દારૃની 1056 બોટલ મળી

વડોદરાઃ દારૃની હેરાફેરી માટે ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવામાં આવતો હોવાના અવારનવાર બનાવો બનતા હોવાથી ડીસીપી પન્ના મોમાયાએ તમામ ટ્રાન્સપોર્ટરોને શંકાસ્પદ પાર્સલની જાણ કરવા સૂચના આપી છે.જે દરમિયાન કારેલીબાગની એક ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી રૃ.૩.૧૬ લાખની દારૃની બોટલો મળી આવી છે.
પોલીસે કહ્યું છે કે,કારેલીબાગ ઇન્ડસ્ટ્રિઅલ એસ્ટેટમાં આવેલી સૂરજ ટ્રાન્સપોર્ટમાં શંકાસ્પદ બોક્સ આવ્યા હોવાની એએસઆઇ હેમરાજસિંહને માહિતી મળતાં તેમણે ટીમ સાથે પહોંચી તપાસ કરી હતી.જે દરમિયાન પાલઘર થી ન્યુ જીવન મેડિક સ્ટોરના નામે આવેલા પાર્સલમાંથી દારૃની ૧૦૫૬ બોટલ મળી હતી.
આ પાર્સલ લેવા આવેલા સન્ની ઉર્ફે બાબલો અજીતભાઇ રાજમલ(શક્તિનગર, ખોડિયારનગર-૩) અને કુલદીપસિંગ ગુરૃદેવ સિંગ બાવરી(કિશનવાડી વુડાનામકાન, વારસીયા)ને ઝડપી પાડયા હતા.પીઆઇ એચ એમ વ્યાસે બંનેની પૂછપરછ કરતાં આ જથ્થો સંદિપ પુઠ્ઠા(પરિવાર ચારરસ્તા,વાઘોડિયા રોડ)એ મુંબઇના પ્રજ્ઞોશ ઠક્કર પાસે મંગાવ્યો હોવાની વિગતો ખૂલી હતી.જેથી બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે.








