Gujarat

ડબલ નામો, શિફ્ટિંગ અથવા મૃત્યુ પામનાર કુલ ૧૦ ટકા મતદારો ડિલિટ

By GS TEAM
30 Nov 20251 min read
ડબલ નામો, શિફ્ટિંગ અથવા મૃત્યુ પામનાર કુલ ૧૦ ટકા મતદારો ડિલિટ

વડોદરા, તા.30 વડોદરામાં મતદારયાદીનો ખાસ સઘન સુધારણા ઝુંબેશનો સમયગાળો ચૂંટણીપંચ દ્વારા વધારાતા તંત્રને થોડી રાહત થઇ છે અને  મતદારયાદી તૈયાર કરવામાં વધુ સમય મળશે. બીજી બાજુ વડોદરા શહેર અને જિલ્લાની ૧૦ વિધાનસભા બેઠકોમાં કુલ ૧૦ ટકા મતદારો ઓટોમેટિક ડિલિટ કરી દેવામાં આવશે.

બીએલઓ દ્વારા થતી ખાસ સઘન સુધારણા ઝુંબેશ દરમિયાન ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને આ ફોર્મ પરત મેળવીને બીએલઓ દ્વારા ઓનલાઇન એન્ટ્રી કરી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વડોદરામાં કુલ ૮૫ ટકા ડિજિટાઇઝેશન કામ પૂર્ણ થયું છે જેમાં ૧૦ ટકા મતદારો એવા છે જેમના નામો અન્ય વિધાનસભા ક્ષેત્રમાં પણ ચાલતા હોય છે અથવા મતદારો શિફ્ટ થયા હોય તેમજ મૃત્યુ પામ્યા હોય તેવા અનેક પુરાવા મળ્યા છે. આ ૧૦ ટકા મતદારોને બાદ કરતાં હયાત ૭૫ ટકા મતદારોનું ડિજિટાઇઝેશન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. હવે તા.૧૧ ડિસેમ્બર સુધી ફોર્મ પરત જમા કરાવવા માટેની મુદત ચૂંટણી પંચ દ્વારા વધારવામાં આવી છે.

ચૂંટણી પંચના સચિવ અશ્વિની કુમાર મોહલે ગઇકાલે અમદાવાદ બાદ આજે અચાનક વડોદરા દોડી આવ્યા હતાં. તેમણે મતદાર યાદી સઘન સુધારણા અભિયાનની કામગીરીની સમીક્ષા કરી મતદાર નોંધણી અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. બેઠક દરમિયાન જિલ્લામાં ચાલતી મતદાર નોંધણી, સુધારા પ્રક્રિયાઓની વિગતો મેળવી હતી. તેમણે બાકી રહેલા કેસોની ત્વરિત કાર્યવાહી કરી અભિયાન નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવાની સૂચના આપી હતી.