Get The App

પાટણ ધારપુર સિવિલ હોસ્પિટલ બહાર લાંબુ વેઈટિંગ, 6 દર્દીઓએ સારવારના અભાવે તોડ્યો દમ

Updated: Apr 25th, 2021

GS TEAM


Google News
Google News
પાટણ ધારપુર સિવિલ હોસ્પિટલ બહાર લાંબુ વેઈટિંગ, 6 દર્દીઓએ સારવારના અભાવે તોડ્યો દમ 1 - image


- હોસ્પિટલમાં અચાનક વીજ પુરવઠો ખોરવાતા દર્દીઓ અને તેમના પરિવારજનો સૌ કોઈ ચિંતામાં મુકાયા

તા. 25 એપ્રિલ, 2021, રવિવાર

પાટણ ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી શનિવાર રાતથી રવિવારની સવાર સુધીમાં 10 જેટલા દર્દીઓએ અંતિમ શ્વાસ લેતા ધારપુર કોવિડ હોસ્પિટલમા હડકંપ મચી જવા પામ્યો હતો. આ ઘટનાને લઈ સારવાર લઈ રહેલા અન્ય કોરોના પોઝિટિવ દર્દીઓના સગા વ્હાલાઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

પાટણ જિલ્લાની ધારપુર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ કેમ્પસમાં શનિવાર રાત્રિના આશરે 9:15 વાગ્યાના અરસામાં વીજ વોલ્ટેજ ના કારણે પુરવઠો અચાનક ખોરવાઈ જતાં સમગ્ર કેમ્પસમાં અંધારપટ છવાઇ જવા પામ્યો હતો . અચાનક વીજ વોલ્ટેજ ઘટી જતા વીજળી ડૂલ થઈ જવાની ધટનાને લઈને દર્દીઓ તેમજ ડોક્ટરો અને દર્દીના સગાઓ સૌના જીવ પડીકે બંધાઈ ગયા હતા અને સૌ ચિંતામાં મુકાઈ જવા પામ્યા હતા. 

ખાસ કરીને સારવાર લઈ રહેલા દર્દીઓમાં ભારે ગભરાટ ફેલાઇ જવા પામ્યો હતો. જોકે જીઈબી તંત્ર દ્વારા તાત્કાલિક પગલા હાથ ધરીને 10 થી 15 મિનિટમાં જ વીજ પુરવઠો રાબેતા મુજબ ચાલુ કરી દેવાતા સૌએ રાહતનો દમ લીધો હતો.

ત્યારે શનિવારની મોડી રાતથી રવિવારની વહેલી સવાર સુધીમાં ધારપુર હોસ્પિટલમાં સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ વાન અને ખાનગી વાહનોમાં લવાયેલા 6 કોરોના પોઝિટિવ દર્દીઓના કોરોનાની સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યા હતા જ્યારે અન્ય દર્દીઓ સારવાર દરમિયાન મૃત્યુ પામતા ધારપુર કોવિડ હોસ્પિટલમાં સનસનાટી મચી જવા પામી હતી તો અન્ય સારવાર લઈ રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓના સગા વ્હાલામાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે શનિવારની મોડી રાતથી રવિવારની વહેલી સવાર સુધીમાં મૃત્યુ પામેલા 10 કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી 4 કોરોના પોઝિટિવ દર્દીઓની લાશને ધાનપુર હોસ્પિટલના ડેડબોડી રૂમમાં રાખવામાં આવી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

તો હાલમાં ધારપુર સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોમાં 100 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર અર્થે વેઇટિંગમાં હોવાનું પણ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. શનિવારે ધારપુર હોસ્પિટલ ખાતે વોલ્ટેજ ડીમ થવાના કારણે વીજ પુરવઠો ખોરવાતા સર્જાયેલી અફરાતફરી મામલે પણ ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરાઈ તેવી માંગ ધારપુર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને સગા સંબંધીઓમાં પ્રબળ બનવા પામી છે.

ધારપુર હોસ્પિટલમાં શનિવારની મોડી રાતથી રવિવારની વહેલી સવાર સુધીમાં મૃત્યુ પામેલા 10 કોરોના પોઝિટિવ દર્દીઓ બાબતે ધારપુર મેડિકલ ઓફિસર ડો. મનીષ રામાવતનો ટેલિફોનીક સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમણે ગતરાત્રિએ થયેલા વિસ્ફોટના કારણે એક પણ દર્દીનું મોત ન નીપજ્યું હોવાનું જણાવી ઉપરોક્ત મૃત્યુ પામેલા દર્દીઓ કોરોનાના અતિશય સંક્રમણને કારણે મૃત્યુ પામ્યા હોવાની પૃષ્ટિ કરી હતી. તેમજ ધારપુર માં વીજ વોલ્ટ ઘટી જવાના મામલે શનિવારે સર્જાયેલી સમસ્યા બાબતે પણ જીઈબીના અધિકારીઓને સૂચિત કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. 

Tags :