Get The App

ખેડા જિલ્લામાંથી પ્લેન ક્રેશ સ્થળે 10 મેડિકલ ટીમ, 17 એમ્બ્યૂલન્સ મોકલાઈ

Updated: Jun 14th, 2025

GS TEAM


Google News
Google News
ખેડા જિલ્લામાંથી પ્લેન ક્રેશ સ્થળે 10 મેડિકલ ટીમ, 17 એમ્બ્યૂલન્સ મોકલાઈ 1 - image


- 150 થી વધુ પોલીસ સ્ટાફ પણ રવાના કરાયો

- મૃતક પરિવારો માટે ફાળવેલા અધિકારીઓ ડીએનએ ટેસ્ટથી અંતિમ વિધિ સુધી જરૂરિયાતનું ધ્યાન રાખશે

નડિયાદ : અમદાવાદના પ્લેન ક્રેશમાં ખેડાના ૧૭ વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે. ત્યારે દુર્ઘટના સ્થળે ફરજ માટે ખેડા જિલ્લામાંથી ૧૫૦ ઉપરાંત પોલીસ સ્ટાફ, ૧૦ મેડિકલ ટીમ તેમજ ૧૭ એમ્બ્યૂલન્સ મોકલાઈ છે. જિલ્લા કલેક્ટરે મૃતક પરિવારો માટે અધિકારીઓની ફાળવણી પણ કરી છે. અધિકારીઓ ડીએનએ ટેસ્ટથી માંડી અંતિમ સંસ્કાર સુધી તમામ ધ્યાન રાખશે.

અમદાવાદની વિમાની દુર્ઘટના માટે મેજર ઈમરજન્સી કોલ જાહેર કર્યો છે. ત્યારે આ દુર્ઘટનામાં સ્થળ પર રાહત અને બચાવ સહિતની તમામ ઈમરજન્સીને લગતી કામગીરી કરવા માટે પુરતા સરકારી કર્મચારીઓની હાજરી રહે તે માટે પ્રયાસ હાથ ધરાયા છે. ત્યારે ખેડા જિલ્લામાંથી ૧૫૦ ઉપરાંત પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને અમદાવાદ ફરજ પર મોકલવામાં આવ્યા છે. ખેડા જિલ્લા આરોગ્ય વિભાગમાંથી ૧૦ ટીમો રવાના કરાઈ છે. જેમાં ૧૦૮ સાથે ડ્રાઈવર અને મેડીકલ ઓફિસરને મોકલવામાં આવ્યા છે. જેઓ ત્યાં રાહત અને બચાવની કામગીરીમાં જોડાયા છે.

ખેડા જિલ્લામાં અવસાન પામેલા ૧૭ વ્યક્તિઓના પરિવારજનો સાથે સંપર્કમાં રહી તમામ પ્રકારે સહકાર આપવા માટે જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓને ફરજ સોંપવામાં આવી છે. 

અવસાન પામેલ જિલ્લાના સ્વજનોના સંપર્કમાં રહીને તેઓના ડીએનએ ટેસ્ટ કરાવવા, બાદમાં તેઓના મૃતદેહ અમદાવાદ સિવિલ ખાતેથી તેઓના સ્વગૃહે લાવવા માટે વાહન પુરા પાડવા અને તેઓની અંતિમવિધિ સુધીની તમામ વ્યવસ્થા અને તેને આનુસાંગિક કામગીરી આ સંકલન અધિકારીઓ દ્વારા કરવામાં આવશે.

જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રની ૧૭ જેટલી એમ્બ્યુલન્સ વાન અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી છે.

Tags :