- જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત્
- નડિયાદમાં ડિવાઇડરના થાંભલા સાથે બાઈક અથડાતા, અન્યનું બાઈક સ્લીપ થતા બંને ચાલકના મોત નિપજ્યાં
નડિયાદ : ખેડા જિલ્લામાં જુદા જુદા સ્થળે અકસ્માતના પાંચ બનાવો બન્યા હતા. જેમાં બે બાઈક ચાલકનું ગંભીર ઈજાઓને કારણે મોત નિપજ્યું હતું. જ્યારે બે રિક્ષાઓ પલટી ખાઈ જતા તેમાં બેઠેલા મુસાફરો તેમજ રિક્ષા ચાલકને ઇજા થઈ હતી. આ બનાવ અંગે જે તે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
નડિયાદ સત્યમ સોસાયટી, કોલેજ રોડ પર રહેતા જૈમીન દિલીપભાઈ પટેલ તા.૧૬મીએ એક્ટિવા લઈને કોઈ કામ અર્થે ગયા હતા તેઓ અને તેમના મિત્ર મોટર સાયકલ લઇ એક્સપ્રેસ હાઈવે તરફથી નડિયાદ શહેરમાં આવી રહ્યા હતા. ત્યારે રાત્રિના માધવ બાગ સામે ડિવાઇડરના થાંભલા સાથે એક્ટિવા અથડાતા બાઈક ચાલક જૈમીનભાઈ પટેલ (ઉં. વ.૩૦)ને ગંભીર ઈજા થઈ હતી. જેથી તેમને સારવાર અર્થે નડિયાદ સિવિલ લઈ જવાતા ડૉક્ટરે જૈમીન પટેલને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે બીજા બનાવમાં ચકલાસીના વનીપુરામાં રહેતા ઈકબાલભાઈ શરીફભાઈ ચાવડા અને ફિરોજભાઈ એહમદ ભાઈ ચાવડા તા.૧૪મીની સાંજે બાઈક લઈ ઉત્તરસંડા ગયા હતા. જ્યાંથી તેઓ પરત વનીપુરા તરફ જતા હતા, ત્યારે ભવાનીપુરા ગોપાલ ગેરેજ નજીક રોડ ઉપર ભૂંડ આવતા બાઈક ચાલકે બ્રેક મારતા બાઈક સ્લીપ થઈ ગઈ હતી. જેથી બાઈક ચાલક ઇકબાલભાઈ ચાવડા (ઉં. વ. ૩૫)ને ગંભીર ઈજા થતા સારવાર અર્થે નડિયાદ સિવિલ બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલમાં રીફર કરાતા ઈકબાલભાઈ ચાવડાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. આ બનાવ અંગે વડતાલ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતના ત્રીજા બનાવમાં આણંદ અબરાર સોસાયટીમાં રહેતા સોહીલ હારુનભાઈ વહોરા મંગળવાર બપોરે તારાપુર ચોકડીથી રિક્ષામાં મુસાફરોને બેસાડી ખેડા જવા નીકળ્યા હતા. ત્યારે પરીએજ ઈકો ટુરીઝમ નજીક સામેથી ફોરવીલ ગાડી ઓવરટેક કરી રોંગ સાઈડએ આવી રિક્ષા સાથે અથડાતા રિક્ષા પલટી ગઈ હતી. જેથી રિક્ષા ચાલક સોહેલભાઈ વહોરા અને રિક્ષામાં બેઠેલા આનંદ કોર અજીતસિંહ બાવરી તેમજ તેના દિકરા મનનીત સિંહ (ઉં. વ.૪)ને ઈજા થતા ખેડા સિવિલ લઈ જવાયા હતા. આ બનાવ અંગે લીંબાસી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઉપરાંત મહેમદાવાદમાં રહેતા જગદીશભાઈ વાઘેલા રિક્ષામાં મુસાફરો બેસાડી વરસોલા ચોકડીથી સિહુંજ ચોકડી તરફ જતા હતા ત્યારે વરસોલા ચોકડી નજીક અચાનક ભૂંડ આવતા બ્રેક મારતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. જેથી રિક્ષામાં બેઠેલા સોમાભાઈ રાયસીંગ ભાઈ ચૌહાણ,મંજુલાબેન મનુભાઈ ચૌહાણ તેમજ દ્રષ્ટિ બેનને ઈજા થઈ હતી.આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અકસ્માતના અન્ય બનાવમાં નડિયાદ તાલુકાના રહેતા દાવડામાં રહેતા રાજેન્દ્રભાઈ ચુનીભાઇ પટેલ તેમના દીકરા મયુર પટેલ સાથે બાઈક પર બાંધણી ગામે જતા હતા. આ દરમિયાન પીપલગ એનએનપી સ્કૂલ નજીક આગળ જતા બાઈક ચાલકે બ્રેક મારતા તેની પાછળ મોટરસાયકલ અથડાતા બાઈક સવાર પિતા પુત્રને તેમજ આગળ જતા મોટરસાયકલના ચાલક તેમજ તેમની દીકરીને રોડ પર પડી જતા ઈજા થઈ હતી. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


