વડોદરામાં મગરોની સુરક્ષા સામે સવાલ,10 ફૂટના વધુ એક મગરનો મૃતદેહ મળ્યો : 6 મહિનામાં 9મો બનાવ
Vadodara Crocodile : વડોદરામાં મગરના મૃત્યુ થવાના બનાવો સતત બની રહ્યા હોવાથી જીવદયા પ્રેમીઓ મગરોની સુરક્ષા સામે સવાલ ઉઠાવી રહ્યા છે. આજે સવારે વિશ્વામિત્રીમાં વધુ એક મહાકાય મગરનો મૃતદેહ મળી આવતા લોકોના ટોળા જામ્યા હતા.
વડોદરા શહેરમાં છેલ્લા છ મહિનાના સમયગાળામાં કોઈને કોઈ રીતે મગરના મોત થવાના આઠ બનાવો બન્યા છે. આ પૈકી બેથી ત્રણ બનાવો રોડ અને ટ્રેન અકસ્માતના હતા. જ્યારે બીજા બનાવોમાં મગરના મોતના કારણ જાણી શકાયા નથી.
આજે સવારે કારેલીબાગ બુદ્ધદેવ કોલોની પાસે કમાટીબાગના બ્રિજ પાસેથી વધુ એક મગરનો મૃતદેહ નદીમાં જોવા મળતા લોકોના ટોળા જામ્યા હતા. જીવદયા પ્રેમીઓને જાણ થતાં 10 ફૂટના અંદાજે 200 કિલો જેટલા વજનના મગરનો મૃતદેહ પાણીમાંથી કાઢતા નાકેદમ આવી ગયો હતો.
ફોરેસ્ટ વિભાગની ટીમ આવી જતા પાંચથી સાત જેટલા કાર્યકરો દ્વારા મગરના મૃતદેહને વાનમાં મૂકીને રવાના કરવામાં આવ્યો હતો. મગરના મૃત્યુનું કારણ જાણવા માટે તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવનાર છે.