આંબાવાડી ફ્લેટમાં પાણીની ટાંકી પડી સ્લેબ તૂટતા ૧૦ લોકોનું રેસ્ક્યું
જર્જરિત મકાનોને નોટિસ આપીને સંતોષ મનાય છે
બીરજુ ફ્લટમાં વૃદ્ધાને ફ્રેકચર થતાં ઝોળીમાં અને બીજાને લેડર મારફતે નીચે લવાયા
અમદાવાદ, રવિવાર
આંબાવાડી વિસ્તારમાં ત્રણ માળના બીરજુ ફ્લેટમાં પાણીની ટાંકી તૂટી પડતા બે સ્લેબ ધરાશાઈ થયા હતા જ્યાં ૧૦થી વધુ લોકો ફસાયા હતા. ફાયર બ્રિગ્રેડની ટીમોએ ઘટના સ્થળે પહોચીને કાટમાળ હટાવીને ફ્રેકચર થયેલ વૃદ્ધાને ઝોળી તથા અન્ય ૯ લોકોને લેડર મારફતે નીચે સહીસલામત ઉતાર્યા હતા. સદ્નસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.
બીરજુ ફ્લટમાં વૃદ્ધાને ફ્રેકચર થતાં ઝોળીમાં અને બીજાને લેડર મારફતે નીચે લવાયા ઃ કોઇ જાનહાનિ નહી
આંબાવાડીમાં આઝાદ સોસાયટી પાસે બીરજુ ફ્લેટના જી-બ્લોકમાં સવારે ૯.૩૦ વાગ્યે પાણીની ટાંકી પડી હતી. ધાબા પર બનેલી ઘટનાથી ફ્લેટના બે સ્લેબ પણ ધરાશાઇ થયા હતા. ઘટનાના પગલે રહીશોમાં ભયનો માહોલ વ્યાપી ઉઠયો હતો. ઘરની બહાર જ સ્લેબ પડતા દરવાજો ખુલી શકે તેમ ન હતો જેથી ત્યાં રહેતા ૧૦થી વધુ લોકો ફસાયા હતા. ફાયરબ્રિગ્રેડને જાણ કરતા ફાયરની ચાર ટીમોએ ઘટના સ્થળે પહોચીને બચાવ કામગીરી શરૃ કરી હતી અને ટાંકીનો કાટમાળ હટાવ્યા બાદ ફાયરની ટીમે ઉંચી લેડર વડે ફ્લેટમાં ફસાયેલા લોકોને નીચે ઉતાર્યા હતા. જેમાં ખાસ કરીને ૬૬ વર્ષના વૃદ્ધાને ફ્રેકચર થતાં ઝોળીમાં નીચે લવાયા હતા જ્યારે અને નવ લોકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે આ ઘટનામાં સદ્નસીબે કોઈ જાનહાનિ થઇ ન હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં આવા જર્જરીત મકાનને કોર્પોરેશન દ્વારા નોટિસ આપીને સંતોષ માનવામાં આવે છે.