વિશ્વામિત્રી નદીમાં મારેઠાથી પિંગલવાડા સુધી સફાઇ કરીને ૧૦.૪૨ લાખ ઘનમીટર માટી કાઢી
વિશ્વામિત્રી કાંઠે ૧૪ ચેકડેમોનું નિર્માણ ઃ રૃા.૮૦ કરોડના ખર્ચે આજવા બેરેજ પણ બનાવાશે
વડોદરા, તા. ૧૧ વડોદરા શહેરને વિશ્વામિત્રી નદીના પૂરથી બચાવવા માટે સિંચાઇ વિભાગ દ્વારા મારેઠાથી પિંગલવાડા સુધી ૨૫.૭૫ કિ. મી. નદીની ક્લિયરિંગ, રિસેકસનીંગ અને ડિસિલ્ટિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આશરે ૧૦.૪૨ લાખ ઘનમીટર માટી કાઢવામાં આવી છે. આ માટી વડોદરા, કરજણ અને પાદરા તાલુકાના વિવિધ ગ્રામ પંચાયતોમાં તેમની માંગ મુજબ વિતરણ કરવામાં આવી છે.
ગત વર્ષે આવેલા પૂર બાદ શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની જળવહન ક્ષમતા વધારવાની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. જ્યારે, નદીના શહેર બહારના ભાગમાં રાજ્ય સરકારના સિંચાઇ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી છે. નદીમાં જોડાતી મુખ્ય કાંસોની સફાઈ પણ હાથ ધરવામાં આવી હતી. બીલ-ચાપડ, વરણામા-ઢાઢર, વડસલા-ઇટોલા, હંસાપુરા-પાતરવેણી અને રૃપારેલ કાંસ સહિત કુલ ૧૪ કિ.મી. લાંબી સફાઈ કામગીરી પૂરી કરાઈ છે. ઉપરાંત, જાંબુવા કોતર વિસ્તારમાં ૧૬ કિ.મી. સફાઈ કાર્ય પણ ૧૫ જૂન સુધી પૂર્ણ કરવાનું આયોજન છે.
ટુંકાગાળાના પગલાંરૃપે વિશ્વામિત્રી નદી પર કુલ ૬ ચેકડેમનું નિર્માણ, રિપેરીંગ થવાનું હતું. જેમાંથી ૫ ચેકડેમ રૃ.૮૪ લાખના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યા છે અને ૧ ચેકડેમનું કાર્ય ચાલું છે. પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા સૂચિત કુલ ૮ ચેકડેમમાંથી ૪ ચેકડેમનું કામ રૃ.૧૧૮.૧૭ લાખના ખર્ચે પૂર્ણ થયું છે. બાકીના ૪ ચેકડેમનું રિપેરીંગ તા.૧૫ જૂન સુધીમાં પૂર્ણ થવાનું છે. નદીના પ્રવાહને સરળ બનાવવા માટે ખલીપુર અને કારેલી નજીકના વિસ્તારોમાં નદી માટે આપેલ સેકશન કરતાં વિશાળ સેકશન બનાવવામાં આવ્યા છે.
બુલેટ ટ્રેનના નિર્માણ દરમિયાન વિશ્વામિત્રી નદી પર ૭ જગ્યાએ કરાયેલા ડાયવર્ઝનને દૂર કરવા માટે સિંચાઈ વિભાગ દ્વારા પત્ર મોકલવામાં આવ્યા છે. લાંબાગાળાના દ્રષ્ટિકોણથી રૃ. ૮૦ કરોડના ખર્ચે 'આજવા બેરેજ' નિર્માણનું ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે.