વાંકાનેરના મહિકામાં જમીન વિવાદમાં
ગુનો દાખલ કરી કાર્યવાહી કરવાની માંગણી, રાજકોટની સિવિલમાં દમ તોડી દેતા પરિવારમાં શોક
વાંકાનેરના મહિકા ગામે રહેતાં યશ હરીભાઈ બાંભણીયા (ઉ.વ.૧૬), અને તેના મોટાબાપુના બે દિકરા કલ્પેશ વિનોદભાઈ બાંભણીયા (ઉ.વ.ર૩) અને વિશાલ (ઉ.વ.ર૦)એ વાડીએ સજોડે ઝેરી દવા પી લેતા વાંકાનેર બાદ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતા વાંકાનેર તાલુકા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. ત્રણેયના પરિવારજનોએ જણાવ્યું હતું કે, નદી કાંઠે આવેલી જમીન તે ઘણા વર્ષોથી વાવે છે. દર માસે નીયત ફી પણ ગ્રામ પંચાયતને ભરે છે. નદીકાંઠે રેતીની લીઝ જેને મળી હતી તે શખ્સો જમીન ખાલી કરાવવાનું કહેતા હોવાથી વિવાદમાં ત્રણેય પિતરાઈ ભાઈઓએ ઝેરી દવા પી લીધી હતી.
બીજી તરફ ગઈકાલે રાત્રે રાજકોટ સારવાર હેઠળ રહેલા ત્રણેય ભાઈઓ પૈકી યશ બાંભણીયાનું મૃત્યુ નિપજયું હતું. આ ઘટનાને લઈ મૃતકના પરિવારજનો અને સમાજના આગેવાનોએ જવાબદારો સામે ગુનો નોંધી કાર્યવાહી કરવાની માંગ સાથે લાશ સ્વીકારવાનો ઈન્કાર કરી દેતાં વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યશ બેભાઈમાં મોટો હતો. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.


