- એસઆઈઆરની કામગીરી પૂર્ણ થતા મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ
- 18 જાન્યુઆરી 2026 સુધી હક્ક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકારાશે, 17 ફેબુ્રઆરીના રોજ આખરી યાદી જાહેર કરાશે
નડિયાદ : ખેડા જિલ્લામાં મતદાર યાદી શુદ્ધિકરણ (એસઆઈઆર) કાર્યક્રમ અંતર્ગત મહત્વની કામગીરી પૂર્ણ કરીને મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જિલ્લામાં કુલ ૧૬,૫૫,૦૬૨ નોંધાયેલા મતદારો પૈકી ૧૪,૬૨,૩૬૦ મતદારોનો મુસદ્દા મતદારયાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ૧,૯૨,૭૦૨ જેટલા મતદારોના નામ વિવિધ ટેકનિકલ કારણોસર આ યાદીમાં સમાવવામાં આવ્યા નથી. જિલ્લામાં કુલ ૧૮૬૭ મતદાન મથકો પર ૧૮૬૭ બુથ લેવલ ઓફિસર અને ૧૭૧૪ બુથ લેવલ એજન્ટ દ્વારા આ સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન ૧૯ ડિસેમ્બરના રોજ મુસદ્દા યાદી જાહેર થયા બાદ હવે ૧૮ જાન્યુઆરી ૨૦૨૬ સુધી હક્ક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકારવામાં આવશે.
વહીવટી તંત્ર દ્વારા મતદાર યાદીની સુધારણા માટે હાથ ધરાયેલ ખાસ સઘન સુધારણા (એસઆઈઆર) કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં ૧૦૦ ટકા કામગીરી સંપન્ન કરવામાં આવી છે. ૨૭ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ શરૂ કરવામાં આવેલી આ કામગીરી ૧૯ ડિસેમ્બરે મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેના આધારે નાગરિકો પોતાના હક્ક-દાવા અને વાંધા રજૂ કરી શકશે. ખેડા જિલ્લામાં કુલ ૧૬,૫૫,૦૬૨ નોંધાયેલા મતદારો છે. વહીવટી પ્રક્રિયા બાદ, જેમાંથી ૧૪,૬૨,૩૬૦ મતદારોનો સમાવેશ મુસદ્દા મતદાર યાદીમાં કરવામાં આવ્યો છે, જે કુલ મતદારોના ૮૮.૩૬ ટકા છે. જ્યારે બાકીના ૧,૯૨,૭૦૨ મતદારો એએસડી શ્રેણી હેઠળ હોવાનું જણાયું છે, જેમના નામોની ચકાસણી પ્રક્રિયા હેઠળ છે. કલેક્ટરના જણાવ્યા મુજબ આજે પ્રસિદ્ધ કરવામાં આવેલ યાદીમાં જો કોઈપણ મતદારનું નામ ન હોય તો નિરાશ થવાની જરૂર નથી. તેઓ તેમના નામ એએસડી યાદીમાં શોધીને જરૂરી પુરાવા સાથે બીએલઓ મારફત ઓબ્જેક્શન રજૂ કરી શકે છે.
વિધાનસભાદીઠ ડ્રાફ્ટ રોલમાં સામેલ મતદારોની ટકાવારી
જિલ્લાની વિવિધ વિધાનસભા બેઠકો પરની કામગીરી જોઈએ તો, ૧૨૦-કપડવંજ બેઠક પર સૌથી વધુ ૯૨.૧૫ ટકા મતદારો ડ્રાફ્ટ રોલમાં સામેલ છે. અન્ય બેઠકોમાં માતર (૯૦.૧૭ ટકા), મહેમદાવાદ (૯૦.૫૭ ટકા), ઠાસરા (૯૦.૦૯ ટકા), મહુધા (૮૮.૪૫ ટકા) અને નડિયાદ (૭૮.૬૫ ટકા) નોંધાયા છે. નડિયાદ બેઠક પર સૌથી વધુ ૨૧.૩૫ ટકા મતદારો એએસડી શ્રેણીમાં જોવા મળ્યા છે.
સ્થળાંતર અને મૃત મતદારોની પણ ખરાઈ કરાઈ
મતદાર યાદીની શુદ્ધતા માટે કરવામાં આવેલ વર્ગીકરણ મુજબ, જિલ્લામાં કુલ ૭૩,૨૭૨ મતદારોના મૃત્યુ નોંધાયા છે, જ્યારે ૭૬,૬૭૩ મતદારો કાયમી સ્થળાંતરિત થયા છે. આ ઉપરાંત ૨૭,૯૪૨ મતદારો સરનામે મળી આવ્યા નથી અને ૧૩,૪૫૫ ડુપ્લીકેટ મતોની ઓળખ કરવામાં આવી છે. આ તમામ વિગતોનું ૧૦૦ ટકા ડિજિટાઈઝેશન પૂર્ણ કરી દેવાયું છે.
1867 બી.એલ.ઓ.એ કામગીરી કરી
આ કપરી કામગીરીને સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે જિલ્લાના ૧૮૬૭ બૂથ લેવલ ઓફિસર અને ૧૮૬૭ મતદાન મથકો પરની ટીમ કાર્યરત હતી. ઉત્કૃષ્ટ કામગીરી બદલ ૧૫ બીએલઓ અને ૧૧ સુપરવાઈઝર્સનું જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું છે. જિલ્લામાં મેપિંગ ન થયેલા મતદારોનું પ્રમાણ જે અગાઉ ૧૭.૯૬ ટતા હતું, તે ઘટાડીને હવે માત્ર ૫.૦૩ ટકા પર લાવવામાં સફળતા મળી છે.
હક્ક-દાવા અને વાંધા અરજીઓ માટેનો સમયગાળો
મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ થયા બાદ હવે જે મતદારોના નામમાં સુધારો હોય અથવા નામ કમી કરવાનું હોય તે માટે ૧૯ ડિસેમ્બર ૨૦૨૫થી ૧૮ જાન્યુઆરી ૨૦૨૬ સુધીનો સમય નિર્ધારિત કરાયો છે. આ સમયગાળા દરમિયાન મળેલી અરજીઓનો નિકાલ ૧૦ ફેબુ્રઆરી ૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ આ પ્રક્રિયામાં પારદશતા જળવાય તે માટે રાજકીય પક્ષો સાથે પણ બેઠકો યોજીને તેમને પ્રગતિની જાણકારી આપવામાં આવી છે.
વિધાનસભા દીઠ મતદારોની સ્થિતિ
ખેડા જિલ્લાની વિવિધ વિધાનસભા બેઠકો પર મતદારોની સંખ્યા પર નજર કરીએ તો કપડવંજ વિધાનસભામાં સૌથી વધુ ૩,૧૦,૭૪૬ મતદારો નોંધાયેલા છે. માતરમાં ૨,૫૯,૦૫૯, નડિયાદમાં ૨,૮૧,૬૪૦, મહેમદાવાદમાં ૨,૬૦,૫૬૭, મહુધામાં ૨,૬૩,૧૭૧ અને ઠાસરામાં ૨,૭૯,૮૭૯ મતદારો નોંધાયા છે. આ તમામ વિસ્તારોમાં ડ્રાફ્ટ રોલ તૈયાર કરવાની પ્રક્રિયા દરમિયાન કપાત થયેલા નામોમાં મરણ, રહેઠાણ બદલવું અથવા ડુપ્લીકેટ નામ જેવા કારણો મુખ્ય રહ્યા છે.


