Jamnagar Child Drowning : મૂળ મધ્યપ્રદેશના જાંબુવાના વતની અને હાલ કાલાવડ તાલુકાના પીઠડીયા ગામમાં રહેતા ખેડૂત મયંકભાઈ જયસુખભાઈ દોમડીયાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા રાજેશભાઈ ચંદુભાઈનો દોઢ વર્ષનો પુત્ર મયુર કે જે વાડીમાં રમતો હતો, જે દરમિયાન અકસ્માતે રમતાં રમતાં પાણીની ડૉલમાં ઊંધા માથે પડી ગયો હતો, અને ડૂબી જતાં બેશુદ્ધ બન્યો હતો. જેને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે બાળકનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પિતા રાજેશ ચંદુભાઈ વસુનીયાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્યના પોલીસ હેડ કોન્સ્ટેબલ એન.કે.છૈયા બનાવના સ્થળે અને ત્યારબાદ રાજકોટની હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવને લઈને શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


