Gujarat

હરણી બોટકાંડના મૃત પરિવારને અને ઇજાગ્રસ્તોને રૃા.૧.૧૨ કરોડ ચૂકવાયા

By GS TEAM
19 Aug 20252 mins read
હરણી બોટકાંડના મૃત પરિવારને અને ઇજાગ્રસ્તોને રૃા.૧.૧૨ કરોડ ચૂકવાયા

વડોદરા, તા.19 વડોદરામાં હરણી બોટકાંડની ઘટનાના ૨૦ માસ બાદ મૃતકોના પરિવારજનોને કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી વળતરની રકમના ૨૫ ટકા જેટલી રકમ તેમના ખાતામાં જમા કરાવવામાં આવી હતી. કુલ ૧૪ મૃતકોના પરિવારજનો તેમજ બે ઇજાગ્રસ્તોના બેંક ખાતામાં કુલ રૃા.૧.૧૨ કરોડ ચૂકવાયું હોવાનું જાણવા મળ્યું છે.

તા.૧૮ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ હરણી તળાવમાં બોટ ઊંઘી પડી જતા પ્રવાસ માટે ગયેલ ન્યૂ સનરાઇઝ સ્કૂલના ૧૨ માસૂમ વિદ્યાર્થીઓ અને બે શિક્ષિકાના ડૂબી જતા મોત નિપજ્યા હતાં અને બે વિદ્યાર્થીઓને ઇજા થઇ હતી. આ ઘટનામાં હાઇકોર્ટમાં વળતર માટે પિટિશન દાખલ કરવામાં આવી હતી અને હાઇકોર્ટના આદેશ મુજબ મૃતકોના પરિવાર તેમજ ઇજાગ્રસ્તોને રકમ ચૂકવવાનો ઓર્ડર કરવામાં આવ્યો હતો.

હાઇકોર્ટના હુકમની સામે કોટિયા પ્રોજેક્ટ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી જેમાં સુપ્રીમ કોર્ટે વળતરની રકમમાં હસ્તક્ષેપ કર્યો ન હતો અને ૨૫ ટકા રકમ ચૂકવી દેવા જણાવ્યું હતું તેમજ અન્ય મુદ્દાઓ પર હાઇકોર્ટને ડાયરેક્શન આપ્યું હતું. હાઇકોર્ટે કોટિયા પ્રોજેક્ટને ૬ સપ્તાહમાં રકમ ચૂકવી દેવા જણાવ્યું હતું અને તે મુજબ તા.૧૫ સપ્ટેમ્બર સુધી રકમ ચૂકવી દેવાની હતી. અગાઉ કોટિયા પ્રોજેક્ટ દ્વારા જે રકમ સરકારમાં જમા કરાવી હતી તેમાં રૃા.૩૦ લાખ રકમ ખૂટતી હતી જે રકમ બે દિવસ પહેલાં જ સરકારને ચૂકવી દીધી હતી.

આમ ૨૫ ટકા રકમ જમા થઇ જતા શહેર એસડીએમ દ્વારા ૧૨ મૃત વિદ્યાર્થીઓના પરિવાર તેમજ બે મૃત શિક્ષિકાના પરિવાર અને બે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના બેંક ખાતામાં આરટીજીએસ દ્વારા રકમ આજે ચૂકવી દેવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે કુલ ૧૬ બેંક એકાઉન્ટોમાં ૧ કરોડ ૧૨ લાખ અને ૭૪ હજાર બેંક ખાતામાં જમા કરાવવામાં આવ્યા છે.