Jamnagar : જામનગર જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચાણ માટે 1,02,970 ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પરંતુ સરકારી તંત્ર ક્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરશે, તે હજુ સુધી જાહેર ન થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
ખેડૂતોને તેઓની ઉત્પાદિત જણસીઓના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા વર્ષ 2025-26ના ખરીફપાકો મગફળી માટે 37,263 પ્રતિ પ્રિક્વન્ટલ ટેકાના ભાવો જાહેર કરવામાં આવ્યા છે. આથી ટેકાના ભાવે મગફળી વેંચવા માંગતા હોય તેઓએ ગત તા.19.10.2025 થી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજીયાત કરાયું હતું, જેથી જામનગર જિલ્લાના 1,02,970 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચાણ માટે ઓનલાઈન રાજસ્ટ્રેશન કરાવ્યું હતું.
જેમાં કાલાવડ તાલુકામાં 26,464 તેમજ જામનગર તાલુકામાં 19,258 તેમજ જામજોધપુર તાલુકાના 17,947, લાલપુર તાલુકાના 17,312 તેમજ ધ્રોળ તાલુકાના 13,628 અને જોડીયા તાલુકાના 8,366 ખેડૂતોનો સમાવેશ થયો છે.
એટલે કે સૌથી વધુ કાલાવડ તાલુકામાં ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચાણ માટે ઓનલાઈન રજસ્ટ્રેશન કરાવ્યું છે, તો સૌથી ઓછુ રજિસ્ટ્રેશન જોડીયા તાલુકામાં થયું છે.
હાલ મગફળીનો પાક તૈયાર થઈ ગઈ હોવાથી ખેડૂતો પોતાની મગફળી યાર્ડમાં વેચાણ માટે લાવી રહ્યા છે. તેમ છતાં સરકાર દ્વારા હજુ સુધી ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા માટેની તારીખ જાહેર કરાઈ નથી. તંત્ર ટેકાના ભાવે મગફળીની ખરીદી ક્યારે શરૂ કરશે.? તે અંગેની ચર્ચાઓ શરૂ થવા લાગી છે.


