પ્લાસ્ટિકના ઘટકો જમીનમાં દટાયા હોવાથી વૃક્ષોના વિકાસને અવરોધે છે
સાયન્સ સિટીમાં વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરવામાં આવી
વિશ્વ ઓઝોન દિવસના ઉપક્રમે સાયન્સ સિટી ખાતે સેમિનારનું આયોજન કરાયું હતું, જેમાં ૩૦૦થી વધારે સ્ટુડન્ટસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સાયન્ટિસ્ટ ડૉ. મેઘા ભટ્ટે કહ્યું કે, ઓઝોનનું સ્તર જાળવી રાખવામાં ગામડાઓની ભૂમિકા મહત્ત્વની છે. ગામડાઓમાં મશીનરી ન હોવાથી, ત્યાંનું વાતાવરણ શુદ્ધ છે. જેથી આપણે ગ્લોબલ વોર્મિંગની ગંભીર અસરોથી પણ બચી શક્યા છીએ. ભારતને વિશ્વના પ્રદૂષિત રાષ્ટ્રોની શ્રેણીમાંથી બાકાત રાખવામાં ગામડાઓનો મહત્ત્વનો ફાળો છે. પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગની અસરોની ઓછી કરવા માટે અને ઓઝોનના સ્તરને વધારે મજબુત કરવા માટે વૃક્ષો વાવવા સાથે પર્યાવરણની માવજત કરવી પડશે. ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડતા તત્વોને ડામવા માટે ૧૯૮૭માં વિશ્વના દરેક દેશોએ મોન્ટ્રીયલ પ્રોટોકલ પર હસ્તાક્ષર કર્યા હતા, જેની યાદમાં ઓઝોન દિવસની ઉજવણી કરવામાં આવે છે. કાર્યક્રમના અંતે કોલેજના સ્ટુડન્ટસ દ્વારા સ્કિટની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
પ્લાસ્ટિકના વધુ પડતા ઉપયોગથી સજીવ સૃષ્ટિને ગંભીર અસર
વર્ષ ૨૦૦૦માં મોન્ટ્રીયલ પ્રોટોકોલના અમલીકરણ બાદ વિશ્વમાં ઓઝોન સ્તરમાં સુધારો જોવા મળ્યો છે પરંતુ આજે પણ ઓઝોનના સ્તર વિશે વિશ્વના દેશોની સરકારોએ અસરકારક પગલા લેવાની જરૃર છે. પ્લાસ્ટિકના વધારે પડતા ઉપયોગથી માનવી સિવાયના સજીવના જીવનમાં નેગેટિવ અસરો જોવા મળે છે. ઉપરાંત પ્લાસ્ટિકના ઘટકો જમીનમાં દટાયા હોવાથી વૃક્ષોના વિકાસને પણ અવરોધે છે. જેથી પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો ખૂબ જરૃરી છે. - રિતેશ મિશ્રા, રૃપર્લ કાર્ટ યુનિવર્સિટી (જર્મની)
બોડી સ્પ્રે અને રૃમ ફ્રેશનરના તત્વો ઓઝોન માટે હાનિકારક
સારી ફ્રેગરન્સ માટે ઉપયોગમાં લેવામાં આવતા બોડી સ્પ્રેમાં ક્લોરોફ્લોરોકાર્બન પદાર્થ રહેલું હોય છે, આ પદાર્થ ઓઝોનના સ્તર માટે હાનિકારક છે. જેમ વાતાવરણમાં તેનું પ્રમાણ વધે તેમ ઓઝોનનું સ્તર નબળું પડે છે. બોડી સ્પ્રે ઉપરાંત રૃમ ફ્રેશનર, એર કંડિશનર અને રેફ્રિજરેટરમાં પણ ક્લોરોફ્લોરોકાર્બન જોવા મળે છે. પર્યાવરણનો બચાવ કરવા માટે આવી કોઇપણ પ્રોડક્ટ ખરીદતા પહેલા સી.એફ.સી. ન હોવાની ખાતરી કરવી જરૃરી છે. - પ્રો. સંજય ઠક્કર, એમ.એન. શુક્લા કોલેજ